વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vajubhai Dodiya passes away : વિરમગામ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી વજુભાઈ ડોડીયાનું 75 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ગત મોડી રાત્રે (20 ઓક્ટોબર) દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર રાજકીય, સહકારી અને નાડોદા રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સહકારી આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આજે તેમના નિવાસસ્થાન ખાતેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
વજુભાઈ ડોડીયા વર્ષ 2002 થી 2007 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરમગામ-સાણંદ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજકારણ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી અને શ્રી નાડોદા રાજપૂત સમાજના એક આદરણીય વડીલ બંધુ તરીકે પણ સક્રિય હતા.
તેમની સાદગીપૂર્ણ છબી, નિષ્ઠા અને જનસંપર્કને કારણે તેઓ તેમના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય હતા. ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે વિસ્તારના વિકાસલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સહકારિતા ક્ષેત્રના વિકાસ અને સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ સ્વ. વજુભાઈ ડોડીયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
સ્વયંસેવક, પ્રદેશ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના અવસાનથી સમાજે એક કર્મઠ અને સમર્પિત નેતા ગુમાવ્યા છે. તેમના નિધનથી વિરમગામ વિસ્તારના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે.









