અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો
Updated: May 17th, 2024
સૌરાષ્ટ્રમાં 782 વિજપોલને નુક્શાન, ખેતીવાડીમાં હજુ વિજળી નથી : જસદણમાં વૃક્ષ પડતા કારનો કચ્ચરઘાણ : વીરનગરમાં કરાં પડયા : બાબરામાં ગાજવીજ અને આંધી સાથે વરસાદ
રાજકોટ,: સૌરાષ્ટ્રમાં આજે એક તરફ બપોરે આભમાંથી આગ વરસતી હોય તેવી બળબળતી લૂ ફૂંકાઈ હતી ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં સતત ત્રીજ દિવસે સાવરકુંડલા, લાઠી, ધારી, લીલીયા, બગસરા, બાબરા સહિત વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસ્યો હતો. જસદણ પંથકમાં પણ ભારે ઝાપટાં પડયા હતા. વરસાદની સાથે વિજળી અને પવનનું જોર પણ રહ્યું હતું જેના કારણે સૌરાષ્ટ્રમાં ખેતીવાડીના 117 ફીડ પરથી વિજપૂરવઠો આજે બંધ રહ્યો હતો.
અમરેલીના ખાંભા વિસ્તારમાં ભારે પવનથી આંબેથી કાચી કેરી ખરી જઈ હતી તેમજ ખેડૂતોને મગફળી,બાજરી,તલ સહિતના પાકમાં વ્યાપક નુક્શાન ગયું છે. લાઠીના મતિયાળા,કૃષ્ણગઢ, કેરાળા સહિત, ધારીના સોરજર,માણાવાવ વગેરે ગીર પંથકના ગામોમાં કડાકા ભડાકા સાથે તેમજ લીલીયાના ભેંસાણ,ઈંગોરાળા,સાજણટીંબા સહિત ગામોમાં તથા બગસરા સહિતના સ્થળે વરસાદના અહેવાલ છે. બાબરા તાલુકાના ગરણી,નાનસડા સહિત ગામોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સત્તાવાર સૂત્રો અનુસાર અમરેલીમાં 8 મિમિ, બગસરા,કુંકાવાવ વડિયા અને લિલીયામાં 1થી 4 મિ.મિ.વરસાદ નોંધાયો છે.
જસદણમાં આજે સાંજે મીની વાવાઝોડા સાથે વરસાદી માહૌલ સર્જાયો હતો, પીજીવીસીએલ કચેરી ખાતે એક તોતિંગ વૃક્ષ કાર ઉપર પડતા કારના પાછળના ભાગનો ડુચો વળી ગયો હતો. જ્યારે આટકોટ પાસે વીરનગરમાં કરાં સાથે ધોધમાર ઝાપટાં વરસ્યા હતા. ગોંડલના મોવિયા પંથકમાં પણ છાંટા પડયાના અહેવાલ છે.
સૌરાષ્ટ્રમાં સતત ભારે પવનને કારણે ખેતીવાડીના 117 ફીડર આજે પણ બંધ રહેવા ઉપરાંત જામનગર જિલ્લાના 150, અમરેલી જિલ્લાના 399 સહિત કૂલ 482 વિજથાંભલાને નુક્શાન થતા તેને રિસ્ટોર કરવા પી.જી.વી.સી.એલ. દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.