UCC Bill Introduced in Gujarat Assembly: ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે આજે (24મી માર્ચ) રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' (UCC) બિલ 2026 રજૂ કરાયું છે. 'ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026' તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન પહોંચે નહીં, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત આ બિલમાં છે.
શું છે UCC બિલના મુખ્ય અંશો?
UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.
આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગ-2 સર્કલ પાસે 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત
જસ્ટિસ રંજના દેસાઈ સમિતિનો અહેવાલ
ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે, જેના આધારે આ વિધેયક તૈયાર કરાયું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ મહત્ત્વકાક્ષી બિલને પસાર કરાવવા માટે શાસક પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને હાજર રહેવા આદેશ અપાયો છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આગામી સ્થાનિક ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત હોવાથી વિધાનસભામાં વિપક્ષની હાજરી પાંખી રહે તેવી શક્યતા છે. તેમ છતાં, સામાજિક સુધારણા અને કાયદાકીય સમાનતા મુદ્દે ગૃહમાં તોફાની ચર્ચા થવાના એંધાણ છે.


