Gujarat

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત

By GS TEAM
13 Oct 20251 min read
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે  પટકાયેલા બે શ્રમજીવીના મોત

વડોદરા,લક્ષ્મીપુરા અને ખોડિયાર નગરની કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાતા બે શ્રમજીવીઓના મોત થયા છે. જ્યારે તરસાલીમાં અગાશી પરથી નીચે પટકાયેલા વૃદ્ધનું મોત થયું છે. 

અન્ય એક બનાવની વિગત એવી છે કે,  મૂળ યુ.પી.ના અને હાલ તરસાલી વિસ્તારમાં રહેતો  મુન્નાભાઈ બિશન ( ઉં.વ.૨૬)  ઉડેરા ખાતે નવી બંધાતી સિધ્ધેશ્વર હોલીઓક સાઈટ પર કામ કરતા હતા. તે દરમિયાન તેઓ ત્રીજા માળેથી નીચે  પટકાતા બીજા માળે પટકાયા હતા. તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે જવાહરનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય એક બનાવની વિગત એવી છે કે, મૂળ આણંદના અને હાલ ખોડિયારનગર વિસ્તારમાં નવી બંધાતી કાન્હવા આરૃશી હાઈટ્સ પર લેબર કામ કરતો  ભોલા મફતભાઈ સોલંકી (ઉં.વ.૨૫)  આજે સવારે ચોથા માળે લઘુશંકા કરવા માટે ગયા હતા. ત્યાંથી  તેઓ નીચે પડતા ગંભીર ઇજા થતા સાથે કામ કરતા અન્ય શ્રમજીવીઓ તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. જે અંગે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

તરસાલી વુડાના મકાનમાં મકાનમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી  દેવુભાઈ કેસરીસિંગ ચૌહાણ (ઉં.વ.૭૮)  રવિવારે રાત્રે  જમીને  અગાશી પર ગયા હતા. જ્યાંથી તેઓ નીચે પટકાતા ગંભીર ઇજા થતા તેઓનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.