અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ
Ahmedabad News : અમદાવાદ પોલીસે ગત અઠવાડિયે બોપલની ધ ગાર્ડન બંગલોઝ સોસાયટીમાં સુએઝ લાઇન સાફ કરતી વખતે ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ કેસ મામલે બેદરકારી દાખવનાર પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી મુકેશ ઠાકુર છે. તેણે સોસાયટીમાં રૂ.1.50 લાખના ખર્ચે સુએઝની સફાઈ અને ડ્રેનેજ કનેક્શનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના 5 સપ્ટેમ્બરના રોજ બની હતી. જેમાં ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના વતની શ્રમિકો વિકાસ કોરી (ઉં.વ.20) અને કનૈયા કોરી (ઉં.વ.21)ને કોઈપણ સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં લાઇન સાફ કરવા માટે હાઇ-પ્રેશર મશીન ચલાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.
ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત
બાદમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓને બચાવ કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા. બંને શ્રમિકોને સાયન્સ સિટીની સિટી પ્લસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કનૈયાને બપોરે 3:40 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પ્લમ્બર તરીકે કામ કરતો વિકાસ પણ એ જ રાત્રે 10:25 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.
વિકાસના પિતા લાલ બહાદુર છોટેલાલે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને માણસોને સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં કામ કરવા મજબૂર કર્યા હતા, જોકે તે જોખમોથી વાકેફ હતો.
આ પણ વાંચો: અમદાવાદ જમીન દલાલ અપહરણ-ખંડણી કેસમાં 6 આરોપી ઝડપાયા, ભાણિયાએ જ આપી હતી ટીપ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "આરોપી કોન્ટ્રાક્ટરે જોખમી સુએઝ સફાઈના કામ માટે શ્રમિકોને હેલ્મેટ, ઓક્સિજન માસ્ક કે સુરક્ષા પોશાક જેવા સાધનો પૂરા પાડ્યા નહોતા. બંને શ્રમિકોનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે."