સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈ, બાતમીના આધારે આરોગ્ય વિભાગની કાર્યવાહી
Surat Crime: દેશ અને દુનિયાભરમાં મહિલા સમાનતા અને સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. પરંતુ, હજુ પણ એક એવો વર્ગ છે, જે બાળકીના જન્મને 'સાપનો ભારો' જ સમજે છે. જેના માટે તેઓ ગર્ભ પરીક્ષણ પણ કરાવે છે. જોકે, ગર્ભ પરીક્ષણ કરવું તે કાનૂની ગુનો હોવા છતા અનેક એવા નીચલી માનસિકતા ધરાવતા લોકો એવું જાણવા તત્પર હોય છે કે, કોખમાં બાળક છે કે બાળકી? કેટલાંક તબીબો પણ પૈસાની લાલચે આ ગેરકાયદે કામ કરતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં બાતમીના આધારે આરોગ્ય વિભાગે બે હોસ્પિટલમાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણના રેકેટને ઝડપી પાડ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલીમાંથી ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ કરાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે તપાસ કરતા સામે આવ્યું કે, અમરોલીની શિવમ અને ઓમસાઈ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાવવામાં આવતું હતું.
શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો ધંધો ચાલતો હતો અને ઓમ સાઇ હોસ્પિટલના ડૉક્ટર ઝડફિયા અને તેનો રિક્ષા ડ્રાઇવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા. આ સિવાય એજન્ટો મારફતે પણ ગર્ભવતી મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી. ગર્ભમાં બાળક છે કે બાળકી તે તપાસ કરવા માટે 10-15 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. હાલ, આરોગ્ય વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![]() |
આરોપી |
આરોગ્ય વિભાગે એકત્ર કર્યા પુરાવા
આ મામલે ડૉક્ટર ઝડફિયા હેઠળ અન્ય ત્રણ લોકો પણ સામેલ હતા. આ લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે, સગર્ભા બહેનોને શિવમ હોસ્પિટલમાં જ ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. આ મામલે આરોગ્ય વિભાગને હોસ્પિટલમાંથી અનેક દર્દીઓના નંબર પણ મળ્યા છે. આ સિવાય લેવડ-દેવડના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે, જે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે.
શું ગર્ભ પરીક્ષણ વિરોધી કાયદો?
નોંધનીય છે કે, ભારતમાં ગર્ભ પરીક્ષણનો ગુનો એટલે ગર્ભમાં બાળકનું લિંગ જાણવું અથવા જાહેર કરવું ગેરકાયદે છે. ભારતમાં PCP NDT Act, 1994 (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act) હેઠળ ગર્ભમાં બાળકનું લિંગ તપાસવું કે જાહેર કરવું ગુનો ગણાય છે. આ કાયદાને 2003માં વધુ કડક બનાવાયો હતો. જો કોઈ આમ કરતું ઝડપાય તો ભારે દંડ સાથે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે મુજબ, જો કોઈ ડૉક્ટર, લેબ કે પરિવાર આ કાયદાનો ભંગ કરે તો 5 વર્ષની કેદ અને 50 હજાર રૂપયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય ગર્ભ પરીક્ષણ કરનાર તબીબનું લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.
કેમ બનાવાયો આ કાયદો?
- સ્ત્રીભ્રૂણહત્યા રોકવા માટે
- 1980ના દાયકામાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય મેડિકલ ટેકનોલોજીથી ગર્ભમાં બાળકનો લિંગ જાણવા સરળ બન્યું હતું.
- ઘણા સ્થળોએ છોકરી હોય તો ગર્ભપાત કરવાની પ્રવૃત્તિ વધી ગઈ હતી.
- સ્ત્રી-પુરૂષના દરમાં ભારે અસામનતા જોવા મળી હતી.
- 1991ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 0–6 વર્ષની વયના બાળકોમાં 1000 બાળકોની સામે બાળકીની સંખ્યા 945 થી ઘટીને 927 થઈ હતી. ખાસ કરીને હરિયાણા, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં સ્થિતિ ગંભીર હતી.
- ટેકનોલોજીના દુરૂપયોગને રોકવા માટે પણ આ કાયદો બનાવાયો. આ કાયદા પહેલાં અલ્ટ્રાસાઉન્ડ, એમનિઓસેન્ટિસિસ, અને અન્ય પ્રી-નેટલ ટેસ્ટનો ઉપયોગ લિંગ પરીક્ષણ માટે થવા લાગ્યો હતો, જે માનવ અધિકારનું ઉલ્લંઘન હતું.
- છોકરીઓ પ્રત્યે ભેદભાવ ઘટાડવા.
- સમાજમાં પુરૂષ સંતાનને પ્રાથમિકતા આપતી માનસિકતા ઘટાડવા માટે કડક કાયદાની જરૂર હતી.