વડોદરામાં નર્મદા કેનાલ પર ફરવા ગયેલા 2 તબીબી વિદ્યાર્થીના ડૂબી જતાં મોત, એક સુરત અને બીજો જામનગરનો રહેવાસી
Vadodara News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં નદી-કેનાલ છલકાઈ છે. આ દરમિયાન કેનાલ કે નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરામાં નર્મદા કેનાલ પર ફરવા ગયેલા 2 તબીબી વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકમાં એક સુરત અને બીજો જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બે તબીબી વિદ્યાર્થીના કેનાલમાં ડૂબી જવાથી મોત
મળતી માહિતી મુજબ, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના અંકોડિયા પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. બંને મિત્રો કેનાલ પર ફરવા ગયા હતા. ત્યારે કોઈ કારણોસર કેનાલમાં ડૂબ્યા હતા. તબીબી વિદ્યાર્થીઓ ગોત્રી મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતા.
ડૂબી જવાની દુર્ઘટનામાં પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ નામના તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, એક વિદ્યાર્થી પાણીમાં ડૂબ્યો હતો, ત્યારે બીજો વિદ્યાર્થી તેને બચાવવા જતા એ પણ ડૂબ્યો હતો. આ મામલે સ્થાનિકોને ખબર પડતાં પોલીસે જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતકોને હોસ્પિટલ ખાતે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.