Jodhpur Accident: રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર રવિવારે (16મી નવેમ્બર) ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રામદેવરા (રણુજા) દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કુલ છ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતાં તેમને જોધપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તલોદના પુંસરીમાં બે મૃતકોની અંતિમયાત્રા નીકળી
આ અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના મૃતદેહને સોમવારે (17મી નવેમ્બર) વહેલી સવારે વતન લાવવામાં આવતા ગામોમાં માતમ છવાઈ ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના રહેવાસી ટેમ્પોચાલક 23 વર્ષીય પ્રીતેશ પ્રજાપતિ અને 62 વર્ષીય કેશાભાઈ વાળંદના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા પુંસરી લાવવામાં આવ્યા હતા.

ત્યારે આજે પ્રજાપતિવાસ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી આ બંને મૃતકોની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં સમાજના લોકો, સગા-સંબંધીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શોક સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચો: અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ
અરવલ્લી-સાબરકાંઠામાં છ મોત
આ ગમખ્વાર અકસ્માતમાં કુલ છ ગુજરાતી શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના ચાર લોકોના મોત થયા હતા. જ્યારે સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે લોકોના મોત થયા હતા. રવિવારે વહેલી સવારે રણુજા જતા સમયે ટેમ્પો અને ટ્રેક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતથી બંને જિલ્લાના ગામોમાં શોકનો માહોલ છે. ઘાયલોની જોધપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


