ધોલેરામાં દેશી દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, કોંગ્રેસે લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી
Hooch Tragedy in Dholera: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, ખુલ્લેઆમ દેશી અને બનાવટી દારૂનું વેચાણ થતું હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. દેશી અને કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે ઘણા લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે, ધોલેરામાં દેશી દારૂ પીવાના લીધે બે લોકોના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે. મૃતકોએ જે સ્થાનેથી દારૂ લઈને પીધો હતો, ત્યાંથી અન્ય ૨૦ જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, અને સાવચેતીના ભાગરૂપે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસ દ્વારા મામલો દબાવવાના પ્રયાસનો આક્ષેપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજૂરોના મૃત્યુ થયા છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાની કોશિશ થઈ રહી છે તેવા કેટલાક ફોન મારા ઉપર આવ્યા છે. મુખ્યમંત્રી, આપ યોગ્ય તપાસ કરાવશો જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે વધુ ગરીબોના મૃત્યુ ન થાય.'
આ પણ વાંચો: દાહોદમાં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, અમદાવાદમાં સાંજે રોડ શૉ
સાવચેતીના ભાગરૂપે અન્ય લોકોને દાખલ કરાયા
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે અન્ય એક ટ્વિટ કરીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, 'અમદાવાદના ડીએસપીનો મારા ઉપર ફોન આવ્યો છે કે ધોલેરામાં દેશી દારૂ ખૂબ જ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો, તે જ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધો હતો તેઓને પ્રિકોશનના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જાતે જ ગુનાની ઉપર નજર રાખી રહ્યા છે, જે બાબતની હું સરાહના કરું છું, પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે.'
ડિહાઇડ્રેશનના લીધે મોત નીપજ્યા હોવાનું અનુમાન
અમદાવાદ ગ્રામ્ય એસ.પી.એ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું હતું કે, ડિહાઇડ્રેશનના લીધે મૃતકોના મોત નીપજ્યા હોવાનું અનુમાન છે, જોકે લઠ્ઠાકાંડ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ મામલે લઠ્ઠાકાંડની દિશામાં તપાસ જરૂરી છે, જેથી સત્ય બહાર આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય.
SIT રચી તપાસની માગ
આ મામલે અમદાવાદ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી લખ્યું છે કે, 'ધોલેરા કાંડમાં મજૂરોના મોતને ગંભીરતાથી લઈ તાત્કાલિક SIT રચી તપાસ શરૂ કરે. ગામડાનાં ગરીબ મજૂરોની જિંદગી પણ એટલી જ કિંમતી છે જેટલી કોઈ વધુ પ્રભાવશાળી વ્યક્તિની હોય! હવે તો ગરીબોની પણ સલામતી માટે ન્યાયની વ્યવસ્થા ઊભી કરો.'