નડિયાદ-ભાદરણ રેલવે લાઇનના કામમાં તંત્રની બેદરકારી
તંત્ર દ્વારા પ્રોપર બેરિકેટિંગ, સુરક્ષા દિવાલ જેવી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ
નડિયાદ-પેટલાદ-ભાદરણ રેલવે લાઇનનું કામ હાલ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વસો તાલુકામાંથી પસાર થતી લાઇન પર વિવિધ સ્થળે ગરનાળા બનાવવામાં આવી રહ્યા છે. રૂણ ગામથી દેવા વાંટા તરફ જતા મુખ્ય માર્ગની બિલકુલ સાઈડમાં જ કાંસનું ગરનાળું બનાવવા માટે મોટું ખોદકામ કરવામાં આવ્યું છે.
આ સ્થળે કેનાલનું પાણી ભરાયેલું હોવાથી આસપાસની માટી અત્યંત પોચી પડી ગઈ હતી. બુધવારની સાંજે આ માર્ગ પરથી ૭૪૧ કેરેટ ટામેટા ભરીને એક ટ્રક પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોડની સાઈડની માટી ધસી પડી હતી. માટી ધસતાની સાથે જ ટ્રક સીધી ઊંડા પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી. ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલા તમામ ટામેટા પાણીમાં વેરાઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટ્રક ચાલક અને તેમાં સવાર મજૂરો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટામેટાનો આખો જથ્થો બગડી જતાં ખેડૂતને ભારે આથક ફટકો પડયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ સ્થળે અગાઉ પણ એક ટ્રેક્ટર કાંસમાં પલટી ખાઈ ગયું હતું. આમ છતાં રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ વાળા જોખમી સ્થળે કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર, 'કામ ચાલુ છે' તેવા સાઈન બોર્ડ કે મજબૂત આડશ મૂકવામાં આવી નથી. સતત વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વગર કામગીરી ચાલુ રાખવામાં આવતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. જો તંત્ર દ્વારા વહેલી તકે અહીં પ્રોપર બેરિકેટિંગ કે સુરક્ષા દિવાલ જેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.


