પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Accident: પંચમહાલ જિલ્લામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે કોરિડોર પર ગોધરા નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે પરિવારની એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.
માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોધરાના ભાટપુરા ગામ નજીક સર્જાયો હતો. સુરતથી કાર મારફતે પોતાના વતન મુડાવડેખ જઈ રહેલો આ પરિવાર જ્યારે ભાટપુરા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ કરુણ ઘટનામાં માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે પરિવારની પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી છે, જોકે તેનો આબાદ બચાવ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો અકસ્માત સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરતથી વતન જઈ રહેલા પરિવારને કાળ આંબી જતાં મુડાવડેખ પંથકમાં અને મૃતકના સગા-સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.








