સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Traffic Violations in Surat: સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી પૂર્વે શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. મતદારોને રીઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય વાહન રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલીઓમાં કાયદાનું પાલન કરાવતી પોલીસની 'બેવડી નીતિ' સામે આવતા સામાન્ય જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ટોપી અને ખેસ શું ટ્રાફિક નિયમોમાંથી મુક્તિનો પરવાનો છે?
શહેરમાં સામાન્ય સુરતી જો હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના નીકળે, તો સીસીટીવી કેમેરા કે રસ્તા પર ઊભેલી પોલીસ તુરંત જ દંડની રસીદ ફાડી દે છે. પરંતુ રાજકીય રેલીઓમાં ચિત્ર સાવ અલગ જ હતું. ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો હેલ્મેટ પહેર્યા વિના, બાઈક પર ત્રણ-ત્રણ સવારી બેસીને અને મોટા ઝંડાઓ સાથે બિન્દાસ્ત રેલી કાઢી રહ્યા હતા. આ રેલી દરમિયાન પોલીસનો કાફલો આસપાસ હોવા છતાં, નિયમોનો છડેચોક ભંગ કરનારા એક પણ કાર્યકર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નહોતી. શહેરમાં મુકાયેલા 3200થી વધુ સીસીટીવી કેમેરા માત્ર સામાન્ય જનતા પાસેથી દંડ વસૂલવા માટે જ હોય તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતના અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, પોલીસ સાથે ઘર્ષણ
સુરતીઓ વર્ષે ભરે છે કરોડોનો દંડ
સુરત પોલીસ ટ્રાફિક નિયમોના પાલન માટે અત્યંત કડક હોવાનો દાવો કરે છે. દર વર્ષે હેલ્મેટ અને સીટ બેલ્ટ વિના વાહનચલાવતા સુરતીઓ પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. ઘણીવાર પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે, શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે?
જનતાના સળગતા સવાલો
રેલીના દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો પર લોકો પોલીસની કામગીરીને વખોડી રહ્યા છે. જો પોલીસ સુરક્ષા માટે દંડ કરતી હોય, તો શું રાજકીય પક્ષોના કાર્યકરોને સુરક્ષાની જરૂર નથી? શું પક્ષની ટોપી કે ખેસ પહેરવાથી હેલ્મેટ પહેરવાની જરૂર રહેતી નથી? શું હવે સામાન્ય વાહન ચાલકો પણ દંડથી બચવા માટે રાજકીય પક્ષના ખેસ પહેરીને નીકળે?
કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તેવી માંગ સાથે સુરતીઓ પોલીસના આ પક્ષપાતી વલણ સામે શંકાની નજરે જોઈ રહ્યા છે. આ ઘટના બાદ ટ્રાફિક વિભાગની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થયા છે.









