અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ? PM મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતને પગલે ટ્રાફિક ડાયવર્ઝન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ખાસ ઉપસ્થિત રહેવાના છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કયો રસ્તો બંધ રહેશે?
જાહેરનામા મુજબ, 12 જાન્યુઆરી 2026ના રોજ સવારે 7:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી નીચે મુજબનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
• વાડજ સ્મશાનગૃહ કટ થી સાબરમતી રિવરફ્રન્ટ રોડ (પશ્ચિમ) થઈને આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
રિવરફ્રન્ટ રોડ બંધ હોવાથી વાહનચાલકો નીચેના માર્ગનો ઉપયોગ કરી શકશે:
• વાહનચાલકો વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ, ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ, ઇન્કમટેક્સ ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈ, બાટા શો-રૂમ થઈ, ડી-લાઇટ ચાર રસ્તા થઈ અને ટાઉન હોલ થઈને પાલડી ચાર રસ્તા તરફ જઈ શકશે.
જોકે, આ પ્રતિબંધમાંથી કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, સરકારી ફરજ પરના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, આકસ્મિક સંજોગોમાં પસાર થતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

નિયમભંગ બદલ કાર્યવાહી
પોલીસ કમિશનરના આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.








