વડોદરાઃ ચીનથી પાછા ફરેલા 3 યુવાનોનુ સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયુ
વડોદરા, તા. 30. જાન્યુઆરી 2020 ગુરૂવાર
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા વડોદરાના 2 યુવાનો સહિત 3 વ્યક્તિઓનુ ચીનથી પરત ફર્યા બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. જોકે ચેકઅપ દરમિયાન કોરોના વાયરસની અસરના કોઈ ચિન્હો જોવા મળ્યા નહોતા અને તેમને જવા દેવાયા હતા.
મળતી વિગતો પ્રમાણે જોર્ડ કંપનીમાં ફરજ બજાવતા હિતેન્દ્ર ચૌહાણ અને ભરત રાજવંશી કંપનીના કામ માટે 25 દિવસ ચીન ગયા હતા. જોકે વાયરસના પગલે તેઓ ચીનમાં અટવાઈ ગયા હતા. કંપનીએ તેમને ભારત પાછા બોલાવવાની વ્યવસ્થા કરી હતી.
આ પૈકીના એક યુવાને કહ્યુ હતુ કે, ચીનમાં પણ અમારૂ મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. ચીનથી મુંબઈ આવ્યા બાદ ત્યાં એરપોર્ટ પર પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ હતુ. એક પણ વાંધાનજક લક્ષણ નહીં જણાયા બાદ અમે મુંબઈથી વડોદરા આવ્યા હતા. જોકે કંપનીના નિયમો પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટ આપવુ જરૂરી હોવાથી અમે એસએસજીમાં ચેક અપ માટે આવ્યા હતા. આ રિપોર્ટ અમે કંપનીને આપીશું.
દરમિયાન હોસ્પિટલના સત્તાવાર સૂત્રોએ પણ કહ્યુ હતુ કે, બંને યુવાનોમાં વાયરસની અસરના કોઈ ચિન્હો નથી. જેથી તેમને જવા દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે. ચીનમાં વાયરસે મચાવેલા હાહાકાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં આ માટેનો એક અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથે અલાયદા સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક ફરજ પર કાર્યરત રાખવામાં આવે છે.