આ ઇમારતો અને ભવનો છે બીવી દોશીની આર્કિટેકચર કળાના સાક્ષી, લે કોર્બુઝિયરના પ્રોજેકટસ પર પણ કર્યુ હતું કામ
બીવી દોશીનું અવસાન થતા આર્કિટેકટેચર ક્ષેત્રને મોટી ખોટ પડી
મુંબઇ, ઇન્દોર, દિલ્હી અને બેંગ્લોરને પણ આ સ્થપતિની કળાનો લાભ મળ્યો
Updated: Jan 24th, 2023
અમદાવાદ,24 જાન્યુઆરી,2023,મંગળવાર
આર્કિટેકચરના ક્ષેત્રેમાં નોબેલ ગણાતું પ્રિત્ઝેકર પ્રાઇઝ અમદાવાદના આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીને મળ્યું હતું. આ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય જ નહી પ્રથમ એશિયન પણ હતા.અમદાવાદના આ સ્થપતિ ૧૯૫૦માં યુરોપ ગયા હતા. યુરોપમાં તેમણે ૧૯૫૧ અને ૧૯૫૪ સુધી પેરિસમાં લે કોર્બુઝિયરના પ્રોજેકટસ પર નજીકથી કામ કર્યુ હતું.
૧૯૫૪માં તેઓ પાછા ફર્યા અને કોર્બુઝિયરની ઇમારતોનું કાર્ય સંભાળ્યું જેમાં વિલા સારાભાઇ, વિલા શોધન,મિલ ઓર્નસ એસોસિએશન બિલ્ડિંગ અને સંસ્કાર કેન્દ્રનો સમાવેશ થાય છે. બીવી દોશી વિખ્યાત આર્કિટેકટ લે કોર્બુઝિયરથી ઘણા અંશે પ્રભાવિત થયા હતા. મેગાસિટી અમદાવાદમાં તેમના દ્વારા નિર્માણ થયેલી અનેક ઇમારતો અને ભવનો તેમના આર્કિટેકચર કળાનું સાક્ષી છે.
આ ઉપરાંત મુંબઇ, ઇન્દોર, દિલ્હી,હૈદરાબાદ અને બેંગ્લોરને પણ આ સ્થપતિની કળાનો લાભ મળ્યો હતો. બીવી દોશીનું અવસાન થતા આર્કિટેકટેચર ક્ષેત્રને મોટી ખોટ પડી છે. તેમને ઇકો ફેન્ડલી, હ્વુમન ફેન્ડલી આર્કિટેકચર તરીકે લોકો યાદ રાખશે કેટલીક ઇમારતો અને ભવનો આર્કિટેકચર કળાની સાક્ષી બનીને ઉભી છે.
સેન્ટર ફોર એનવાર્યનમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ)
અમદાવાદમાં સેપ્ટ તરીકે જાણીતી આ એજયૂકેશન સંસ્થાની ડિઝાઇન ૧૯૬૬માં બી વી દોશીએ તૈયાર કરી હતી.આ આ સાઇટ ૧૨.૫ એકરમાં પથરાયેલી છે. ૩૦૦ મીટર ઉત્તર દક્ષિણ અને અને ૧૫૦ મીટર પૂર્વ પશ્ચીમ અંતર ધરાવે છે.આથી સામાન્ય રીતે એક લંબચોરસ પ્રકારનો આકાર બને છે. મેઇન રોડથી અંદર ટ્રી પ્લાન્ટ કરેલા છે. અંદરથી ભાગ્યેજ મુખ્ય રસ્તાને જોઇ શકાય છે.
આથી એક પ્રકારે વર્કિગ ફ્રેન્ડલી એનવાર્યનમેન્ટ ક્રિએટ થાય છે. બાંધકામમાં સ્થાનિક સ્તરે મળતા મટેરિયલનો ઉપયોગ થયો હોવાથી તેનું સરળતાથી મેન્ટેનન્સ અને વિસ્તરણ પણ થઇ શકે તે પ્રકારનું છે. સ્ટૂડિઓની ઉપર સ્કાયલાઇટ અને બાકીની સ્પેસમાં નેચરલ લાઇટ મળે છે. તેની ઉત્તરમાં એક અને સાઉથ તથા પશ્ચીમ દિશામાં બે પ્રવેશદ્વાર છે. આ સંસ્થાનો બેઝમેન્ટ મલ્ટીપર્પઝ સ્પેસ છે.જેમાં કલ્ચરલ પ્રોગામ,ફેસ્ટસ,એકઝિબિશન અને ઇન્ડોર ગેમનું આયોજન થઇ શકે તે પ્રકારનું છે. સ્ટૂડિયોના બ્લોકની એકિસસ નજીક કેન્ટીન પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ટાગોર મેમોરિયલ હોલ -પાલડી
અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી નદીના કાંઠે આવેલો ટાગોર મેમોરીયલ હોલ બાલકૃષ્ણ દોશીની સૌથી શ્રેષ્ઠ ડિઝાઇનમાંની એક છે. આ હોલની બાહરની બાજુ આરસીસીની ગ્રીડ ફેમ્સ ધ્યાન ખેંચે છે. આ હોલની વર્ટિકલ ફોલ્ડની હાઇટ ૧૭ મીટર જયારે તેના બેઝથી ડેપ્થ ૧.૧૫ મીટર છે. જે ટોપ ઉપર જતા ૨.૪ મીટર થાય છે.
હોલની અંદર ૭૦૦ લોકો આરામથી બેસી શકે તેટલી સ્પેસ છે.લોબી એરિયામાં સ્કપ્લચરલ કોલમ અને કેન્ટીલેવર્સ પણ ધ્યાન ખેંચે છે. આ પ્રોજેકટનું કાર્ય ૧૯૬૬ થી ૧૯૭૧ સુધી ચાલ્યું હતું. નદી પાસેની જમીનનો પોપડો રેતાળ હોવાથી સ્ટ્રીપ ફાઉન્ડેશન કરવામાં આવ્યું હતું. ટાગોર મેમોરિયલ હોલ બુ્રટાલિસ્ટ આર્કિટેકચરનું સારું ઉદાહરણ છે.
અમદાવાદની ગુફા
અમદાવાદમાં ગુફા તરીકે ઓળખાતી એક અંડર ગ્રાઉન્ડ આર્ટ ગેલેરી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલું આ સ્થળ તેની આર્ટ અને એકઝિબિશન માટે આગવી ઓળખ ધરાવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની ડિઝાઇન બાલકૃષ્ણ વિઠ્લદાસ દોશીએ તૈયાર કરી હતી.વિશ્વ વિખ્યાત પેઇન્ટર એમ એફ હુસેનના પેઇન્ટિંગનું વર્ક તથા એકઝિબિશન થતું હતું.આથી આ ગુફાને એક સમયે એમ એફ હુસેનની ગુફા તરીકે પણ જાણીતું બન્યું હતું.
આ ગુફાના મલ્ટિપલ રુફ એક બીજાથી જોડાયેલા છે જેને મોઝેક ઓફ ટાઇલથી કવર કરવામાં આવ્યા છે. આ ડોમના અનિયમિત આકારના વૃક્ષો કોલમની જેમ સપોર્ટ કરે છે.આ ડોમની ડિઝાઇન કાચબા અને સાબુના પરપોટાની શેપ જેવી જણાય છે.આથી તેની વોલ કયાંય સપાટ જોવા મળતી નથી.આ ગુફા કઇંક અંશે અજંતા ઇલોરાની ગુફાથી પ્રેરણા લઇને ડિઝાઇન થઇ છે. ડોમના ઉપરના ભાગમાંથી કુદરતી પ્રકાશ મળી રહે તે પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે.આ ઉપરાંત ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલોજી પણ ડિઝાઇન પણ અદ્ભૂત છે.
સંગાથ -સ્ટુડિયો બાલ કૃષ્ણ ટ્રસ્ટ
અમદાવાદમાં સંગાથએ આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીએ ડિઝાઇન કરેલો પોતાનો સ્ટૂડિયોએ છે. જે ઉત્ત્કૃષ્ટ કામગીરીનો નમૂનો છે. ગોળ છત પર ચાઇના મોઝેકનો ઉપયોગ થયો છે.જેનાથી ગરમી સામે રક્ષણ મળે છે અને ચોમાસાનું પાણી પર સરળતાથી સરકી જાય છે. ગોળ છત પાસે પાણીના કુંડમાં પાણીનો સંગ્રહ થાય તેવી અદ્ભૂત વ્યવસ્થા છે.
આ ડિઝાઇન સાઇટની સૌથી મોટી ખાસિયત એ છે કે સીધી દિશામાં ગતિ કરવાની ખાસિયત ધરાવતો પ્રકાશ પણ અથડાઇને આખા રુમમાં અજવાળું આપે છે. આ સાઇટનો કુલ વિસ્તાર ૨૩૪૬ મીટર વર્ગ છે. તેનો કુલ બાંધકામ વિસ્તાર ૫૮૫ મીટર વર્ગ છે. તેની પ્રોજેકટ કોસ્ટ માત્ર ૦.૬ મીલિયન હતી. સંગાથમાં ઇન્ટીગ્રેટિંગ આર્ટ,ક્રાફટ,એન્જિનિયરિંગ અને ફિલોસોફી ઓફ લાઇફનો સમાવેશ થાય છે.
એલ આઇ સી હાઉસિંગ
અમદાવાદમાં આ હાઉસિંગ પ્રોજેકટ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન કે બીમાનગર તરીકે ઓળખાય છે. જેનું ડિઝાઇન વર્ક બાલકૃષ્ણ દોશીએ ૧૯૭૩માં શરુ કર્યું હતું. ૩૨૪ યુનિટની ડુપ્લેક્ષ ટેરેસ યુનિટની સ્કીમ છે. હાઇડેન્સિટી અને લો રાઇઝ ઉપરાંત ટ્રેડિશનલ અર્બન રો હાઉસનું આ પણ એક સારું ઉદાહરણ છે. જેમાં મિકસ ઇનકમ ગુ્રપ ધરાવતા નાના અને મોટા બંને પ્રકારના યૂનિટનો સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટ
અમદાવાદમાં ડ્રાઇવ ઇન રોડ પર આવેલા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટનું પર્યાવરણ ફેન્ડલી વાતાવરણ ધ્યાન ખેંચે છે. લેબરને સામાજીક ન્યાય અને રિસર્ચ માટે સંસ્થાન બનાવવા માટે ૧૧૫૦૦ સ્કેવર મીટર જમીન સરકારે ફાળવી હતી.૧૯૭૯માં તેની ડિઝાઇન પણ આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીએ તૈયાર કરી હતી.
અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેકટ -ઇન્દોર
બીવી દોશીએ ખર્ચાળ ઇમારતો જ નહી લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેકટ પર પણ કામ કર્યું છે. ૧૯૮૯માં તૈયાર થયેલો લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેકટ તેનું ઉત્તર ઉદાહરણ છે.૧૦ કરોડના ખર્ચે ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ પ્રોજેકટને તૈયાર કરાવ્યો હતો.આ લો કોસ્ટ બાંધકામનો બિલ્ડઅપ એરિયા ૧ લાખ વર્ગ મીટર છે. સ્લમ એરિયામાં સુધારા લાવીને તેને અધતન કરવા માટેની આ લો કોસ્ટ સ્કિમમાં કુલ ૬૫૦૦ રેસિડન્સ પ્લોટ હતા.
જેમાં ઇકોનોમિકસ વીક સેકશન માટેના ૩૫ સ્કેવરમીટરથી માંડીને ૪૭૫ મીટર વર્ગના હાઇ ઇનકમ ગુ્રપના મકાનોનો પણ સમાવેશ થાય છે.આ સ્કિમની ડિઝાઇન વિવિધ પ્રકારના સોશિયલ ઇકોનોમિકસ ગુ્રપને સાથે જોડીને બેલેન્સ કરવા માટે દાખલારુપ બની છે.આ ઉપરાંત મિકસ યૂઝ અને મલ્ટિપલ લેન્ડયૂઝનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અતિ ગીચ વિસ્તારમાં નાની સોપ અને માર્કેટનું પ્લાનિંગ ધ્યાન ખેંચે તેવું છે.
આઇ આઇ એમ બેંગ્લોર
૫૪ હજાર સ્કવેર મીટરમાં પથરાયેલા આઇઆઇએમ બેંગ્લોરના કેમ્પસ એરિયાનું બાંધકામ ૧૦૦ એરિયા છે.આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીએ આ સંસ્થાનની ડિઝાઇન ૧૬ મી સદીના ફતેપુર સિકરીમાંથી પ્રેરણા લઇને તૈયાર કરી છે. આ ઉપરાંત ગ્રીનરી માટે ગાર્ડન ઓફ બેંગ્લોરને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.
આ ડિઝાઇનની સૌથી મોટી ખાસિયત કોરિડોર અને કોટયાર્ડનું એક બીજા સાથે લિંક હોવું છે. એટલું જ નહી ભવિષ્યમાં ઇમારતના એકસટેન્શન માટે પણ ભરપૂર સ્પેસ રહે છે. આઇઆઇએમ બેંગ્લોર પરફેકટ સેન્સ ઓફ સ્કેલ અને લાઇટના કારણે ગ્લોબલ કેમ્પસ જેવો દરજજો ધરાવે છે.૧૯૮૩માં તૈયાર થયેલી આ સંસ્થા ઇન્ડોર અને આઉટડોર ક્લાસરુમ ડિઝાઇનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.નેચર એલિમેન્ટ અને માનવિય જરુરીયાતોના સંગમ સ્થળ સમું છે.
આ ઉપરાંત કમલા હાઉસ, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નવી દિલ્હી) ટાગોર મેમોરિયલ થિએટર, ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડોલોજી,ઇલેકટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (હૈદરાબાદ) પ્રમાભાઇ હોલ, નેશનલ વોર મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ, ઇફકો હાઉસિંગ પણ સ્થપતિ હતા.