VIDEO: અમરેલીમાં અર્જુન પટોળિયાની અંતિમયાત્રા: પત્નીના અસ્થિ વિસર્જન બાદ લંડન જતા પ્લેન ક્રેશમાં થયું હતું નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો હૃદયને હચમચાવી દેનારો છે. ગત 26 મે 2025એ લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈનું 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. અર્જુનભાઈના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે અર્જુનભાઈના DNA મેચ થયા બાદ તેમનો મૃતદેહ વડિયા લાવવામાં આવ્યો હતો અને આજે સોમવારે (16 જૂન) શરૂ વરસાદે અર્જુનભાઈની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.

પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરી પરત ફરતા હતા
મળતી માહિતી મુજબ, અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ પટોળિયાના પત્ની ભારતીબેનનું 26 મે, 2025ના રોજ લંડનમાં અવસાન થયું હતું. ભારતીબેનની અંતિમ ઈચ્છા હતી કે, તેમની અસ્થિઓને ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જિત કરવામાં આવે. પત્નીની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અર્જુનભાઈ લંડનથી ભારત આવ્યા હતા. તેઓ ફૂલોથી સજાવેલ કળશમાં પત્નીની અસ્થિઓ લઈને ગામ પહોંચ્યા હતા. અહીં, 2 જૂન, 2025ના રોજ બેસણું રાખવામાં આવ્યું હતું અને અર્જુનભાઈએ પરિવારજનો સાથે સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની અસ્થિઓનું પૈતૃક ગામના તળાવમાં વિસર્જન કરી અંતિમવિધિ સંપન્ન કરી હતી.

બે માસૂમ દીકરીઓ બની નિરાધાર
અર્જુનભાઈ પોતાની માતાને સુરતમાં રાખી, પત્નીની અંતિમવિધિ કરવા બાળકોને લંડનમાં મૂકીને વતન આવ્યા હતા. પત્નીની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ અર્જુનભાઈએ લંડન પરત ફરવાનો નિર્ણય લીધો હતો. લંડનમાં તેમની બે માસૂમ દીકરીઓ તેમની રાહ જોઈ રહી હતી. જોકે, કુદરતને કઈક અલગ જ મંજૂર હતું.

12 જૂને બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અર્જુનભાઈનું પણ કરુણ મોત થયું હતું.








