Get The App

VIDEO: અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ 1 - image


Amreli News: અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો હૃદયને હચમચાવી દેનારો છે. ગત 26 મે 2025એ લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ, તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈ, ગુરુવારે પરત લંડન જતી વખતે આ ભયાવહ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેમના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. પત્નીના મોતના 18માં દિવસે પતિનું પણ મોત થતા તેમની બે માસૂમ દીકરીઓ અનાથ બની છે. 


પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરી પરત ફરતા હતા

મળતી માહિતી મુજબ અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાના પત્ની ભારતીબેનનું 26 મે, 2025ના રોજ લંડનમાં અવસાન થયું હતું. ભારતીબેનની અંતિમ ઈચ્છા હતી કે, તેમની અસ્થિઓને ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જિત કરવામાં આવે. પત્નીની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અર્જુનભાઈ લંડનથી ભારત આવ્યા હતા. તેઓ ફૂલોથી સજાવેલ કળશમાં પત્નીની અસ્થિઓ લઈને ગામ પહોંચ્યા હતા. અહીં, 2 જૂન, 2025ના રોજ બેસણું રાખવામાં આવ્યું હતું અને અર્જુનભાઈએ પરિવારજનો સાથે સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની અસ્થિઓનું પૈતૃક ગામના તળાવમાં વિસર્જન કરી અંતિમવિધિ સંપન્ન કરી હતી.

VIDEO: અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ 2 - image

બે માસૂમ દીકરીઓ બની નિરાધાર

અર્જુનભાઈ પોતાની માતાને સુરતમાં રાખી, પત્નીની અંતિમવિધિ કરવા બાળકોને લંડનમાં મૂકીને વતન આવ્યા હતા. પત્નીની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ અર્જુનભાઈએ લંડન પરત ફરવાનો નિર્ણય લીધો હતો. લંડનમાં તેમની બે માસૂમ દીકરીઓ તેમની રાહ જોઈ રહી હતી. જોકે, કુદરતને કઈક અલગ જ મંજૂર હતું. ગઈકાલે 12 જૂને બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અર્જુનભાઈનું પણ કરુણ મોત થયું.

VIDEO: અમરેલીનો કરુણ કિસ્સો: પત્નીના અસ્થિ વિસર્જન કરી લંડન જઈ રહેલા યુવાનનું પ્લેન ક્રેશમાં મોત, 18 દિવસમાં 2 દીકરી બની અનાથ 3 - image

આ પણ વાંચો: VIDEO: 'મારા ભાઈનું મોઢું જોવા દો...', સિવિલ હૉસ્પિટલ બહાર યુવકનું હૈયાફાટ રુદન, ચાની કીટલી ચલાવતા હતા

જે દીકરીઓએ 18 દિવસ પહેલાં જ માતાની છત્રછાયા ગુમાવી હતી, તેમણે હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ અનેક લોકોનું કાળજું કંપી ઉઠ્યું છે અને પટોળિયા પરિવાર પર આવી પડેલી બેવડી આફતથી ભારે શોકનો માહોલ છવાયો છે.

Tags :