આજે તેરા કિસ્સા હી ખતમ કરતા હું કહીઃ પત્નીને માથામાં ખાંડણીના આઠ ઘા ઝીંકી ફરાર થયેલો પતિ પકડાયો
પ્રેમલગ્ન કરનાર દંપતીને 15 વર્ષની પુત્રી છે, પરંતુ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિ તેની જાસૂસી પણ કરાવતો
સુરત તા. 17 જુલાઇ 2020 શુક્રવાર
ચારિત્ર્ય અંગે શંકા રાખી જાસૂસી કરવા ઉપરાંત કંપનીનું બેંક એકાઉન્ટ સીઝ કરાવી આજ તેરા કિસ્સા હી ખતમ કર દેતા હું એમ કહી સ્ટીલની ખાંડણીના ઉપરાછાપરી સાતથી આઠ ઘા માથામાં ઝીંકી પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર પતિની અડાજણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
અડાજણ આનંદ મહલ રોડ વિસ્તારમાં આવેલા સન રેસીડન્સીમાં ફલેટ નં. ઇ/1003 માં રહેતા શ્રીધર ચંદ્રન ઐયર છેલ્લા કેટલાક સમયથી પત્ની ફાલ્ગુની (ઉ.વ. 47) ના ચારિત્ર્ય અંગે શંકા રાખી શારિરીક-માનસિક ત્રાસ ગુજારતો હતો. ફાલ્ગુની સાથે પ્રેમલગ્ન કરનાર શ્રીધરે લગ્ન જીવનની શરૂઆત સાથે વેસુમાં એન્જિનીયરીંગ એન્ડ પ્રોડેક્ટ નામની કંપની પણ શરૂ કરી હતી. પરંતુ ચારિત્ર્ય અંગે શંકા કરનાર શ્રીધરે ફાલ્ગુનીની જાસૂસી કરાવવા ઉપરાંત મોબાઇલ ફોનમાં લોકેશન શેરીંગનું ઓપશન ઓન રાખી તે કયાં જાય છે અને કોને-કોને મળે છે તેની ઉપર પણ વોચ રાખતો હતો. ફાલ્ગુની કંપનીના પૈસા બીજાને આપતી હોવાની શંકા હોવાથી બેંક એકાઉન્ટ પણ શ્રીધરે સીઝ કરાવી દીધું હતું. દરમ્યાનમાં દસેક દિવસ અગાઉ શ્રીધરે બપોરના અરસામાં આજ તેરા કિસ્સા હી ખતમ કર દુંગા એમ કહી સ્ટીલ ખાંડણી વડે હુમલો કરી માથામાં સાતથી આઠ ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં ગત મોડી રાત્રે અડાજણ પોલીસે પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર શ્રીધરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.