ભરૂચમાં શિક્ષક દંપત્તિની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો, જમાઈ જ સાસુ-સસરા માટે બન્યો જમ
Bharuch News : ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દંપતીની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.30થી 35 લાખનું દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે જમાઈએ તેના સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં જમાઈએ વાલિયા આવીને સાસુ-સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.
જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા સાસુ-સસરાને મોતને ઘાટ ઉતાર્યા
ભરૂચના વાલિયાના શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ભેદ ઉકલવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, જમાઈને બેન્ક લોન, વ્યાજે નાણાં, શેર માર્કેટ સહિતમાં આશરે 35 લાખની ખોટ થઈ હતી અને ભારે દેવુ થઈ ગયું હતું. આ પછી જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા શિક્ષક સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી રોકડ અને દાગીનાની લૂંટ કરીને ભાગી ગયો હતો.
આ પણ વાંચો : ભરૂચના વાલિયામાંથી શિક્ષક દંપત્તિની લાશ મળી આવતાં ખળભળાટ, હત્યા કે આત્મહત્યા? તપાસ શરૂ
શું હતી સમગ્ર ઘટના?
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં આવેલા એક મકાનમાં શિક્ષક દંપતીની લાશ મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. શિક્ષક દંપતીનું મકાન આખો દિવસ બંધ રહેતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરીને દંપતી જીતેન્દ્ર સિંહ બોરાદરા અને લતાબેન બોરાદરાના મૃતદેહને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યામાં આવ્યા હતા.