ભરૂચના વાલિયામાંથી શિક્ષક દંપત્તિની લાશ મળી આવતાં ખળભળાટ, હત્યા કે આત્મહત્યા? તપાસ શરૂ
Bharuch Murder Case: રાજ્યમાં સતત વધી રહેલા ગુનાખોરીના બનાવો વચ્ચે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામ્યો છે. આખો દિવસ મકાન બંધ રહેતા સ્થાનિકોને શંકા ગઇ હતી. ત્યારબાદ સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળો દોડી આવ્યો હતો. દંપતીની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં આવેલા એક મકાનમાં શિક્ષક દંપતીની લાશ મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. શિક્ષક દંપતીનું મકાન આખો દિવસ બંધ રહેતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરીને દંપતી જીતેન્દ્ર સિંહ બોરાદરા અને લતાબેન બોરાદરાના મૃતદેહને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
શિક્ષક દંપતીની હત્યા કરાઇ છે કે આત્મહત્યા તેને લઇને રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આસપાસના સ્થાનિકો સાથે પૂછપરછ શરૂ છે. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.