'નલ સે છલ'!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udaipur, Bhorda Village Water Struggle: સરકારની બહુચર્ચિત અને 'પાણીદાર' ગણાતી 'નલ સે જળ' યોજના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોમાં માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. સરહદી વિસ્તારમાં આવેલા 5000ની વસ્તી ધરાવતા ભોરદા ગામમાં કરોડોના ખર્ચે યોજના તો આવી, પરંતુ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીને કારણે આજે પણ મહિલાઓને બે બેડા પાણી માટે સીમમાં ભટકવું પડી રહ્યું છે.
શોભાના ગાંઠિયા સમાન નળ
મળતી માહિતી અનુસાર, ભોરદા ગામમાં તંત્ર દ્વારા ઘરે-ઘરે નળ કનેક્શન તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ચાર વર્ષથી આ નળમાં ટીપું પાણી આવ્યું નથી. ગામના કેટલાક વિસ્તારોમાં તો હજુ સુધી પાઇપલાઇન પણ પહોંચી નથી. આશ્ચર્યની વાત એ છે કે, પાણી મળતું નથી છતાં ગ્રામજનોને પાણી વેરો ભરવો પડી રહ્યો છે.
ગામના કેટલાક વિસ્તારમાં તો યોજનાના નળ લગાવ્યા જ નથી. તો પાણી ક્યાથી આવે. જે હેન્ડ પંપ છે, તે બગડી જવાથી તેમાં પણ પાણી આવતું નથી. રિપેરિંગ માટે તંત્રમાં કહેવામાં આવે છે, તો તેમણે જણાવવામાં આવે છે, કે તમારા ગામમાં નળ સે જળ યોજના છે. જેથી રિપેરિંગનો ખર્ચ તંત્રમાં નહીં પડે. આ યોજના જ્યારે ગામમાં આવી ત્યારે ગામના લોકોને એવું હતું, કે વર્ષોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે. એ આશા આજે ઠગારી નીવડી છે. આજે ગામના લોકોના મોઢા પર સ્મિત નહીં પણ નારાજગી જોવાયા રહી છે.
તંત્રની ફેંકાફેંકીમાં જનતા પરેશાન
જ્યારે ગ્રામજનો આ મુદ્દે રજૂઆત કરે છે, ત્યારે તેને વિચિત્ર જવાબો મળે છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, 'ભોરદા ગામમાં ત્રણ વર્ષ પહેલા નળ સે જળ યોજનાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. છતાં કોઈ સમસ્યા હશે તો અમે પંચાયત સાથે પરામર્શ કરી નિકાલ લાવીશું.'
ઉનાળો આવતાં પહેલા જ પાણીની વિકરાળ સમસ્યા
હજુ તો શિયાળો ચાલી રહ્યો છે ત્યાં જ ગ્રામજનોએ ખાનગી ખેતરોના બોર અથવા દૂર-દૂર સુધી પાણીની તલાશમાં નીકળવું પડે છે. ઉનાળામાં આ સ્થિતિ વધુ ભયાનક બને છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે આ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામના લોકો પીવાના પાણી માટે આજે પણ વલખાં મારી રહ્યા છે. લોકોને પીવાના પાણીની સમસ્યાનું સરકાર નિરાકરણ લાવશે? કે પછી બે બેડા પાણી મેળવવા મહિલાઓ જીવનું જોખમ ખેડશે કે દૂર દૂર સુધી ભટકશે? તે એક સવાલ છે.








