Talati in Gujarat: ગુજરાતમાં હાલ સરકાર સામે વિરોધી માહોલ છવાયો છે, જેના કારણે ભાજપના ધારાસભ્ય, નેતાઓ લોકો વચ્ચે જઈ શકે તેમ નથી. એટલું જ નહીં, ભીડ ભેગી કરવી મુશ્કેલ બની છે, ત્યારે 15મી ઑગસ્ટ નજીક છે, ત્યારે ઘર ઘર તિરંગા યાત્રા કાઢવાની જવાબદારી પણ તલાટીઓના માથે થોપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શાળામાં રંગોળી સ્પર્ધાથી માંડી પીએમ આવાસ યોજનાનો સર્વે કરવાનું કામ તલાટીઓને માથે
મળતી માહિતી અનુસાર, તલાટીઓની હાલત પણ હવે આંગણવાડી વર્કરો જેવી થઈ છે. રાજ્ય સરકાર એક પછી એક કામોની જવાબદારી તલાટીઓના માથે થોપી રહી છે. જાણવા મળ્યું છે કે, 15મી ઑગસ્ટ નિમિત્તે ગામમાં દાતાઓને શોધી શાળામાં રંગોળીની સ્પર્ધા કરવાની, વિદ્યાર્થીઓને ઇનામ આપવા તલાટીઓ કામે લાગ્યા છે.
ગામડાંઓમાં શાળાના બાળકોને એકત્ર કરી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેમાં તલાટીઓની મુખ્ય ભૂમિકા રહી છે. આ ઉપરાંત તલાટીઓને હવે પીએમ આવાસ યોજનાનો સર્વે કરવા પણ જણાવાયું છે. લાભાર્થીઓ સાચા છે કે ખોટા તેની પણ તલાટીઓ ચકાસણી કરી રહ્યા છે. આમ, તલાટીઓની દશા બેઠી છે.


