Surat News : ગુજરાતમાં વધુ એક બૂથ લેવલ ઑફિસર(BLO)ના શંકાસ્પદ મોતના સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને ચૂંટણી સંબંધિત કામગીરી(SIR)માં BLO તરીકે નિમાયેલા એક મહિલા અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે, જેના કારણે તેમના પરિવારમાં અને વહીવટી વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતક મહિલા અધિકારીનું નામ ડિન્કલબહેન શીંગોડાવાળા હોવાનું સામે આવ્યું છે. તેઓ મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને સુરત શહેરના શાહપોર બૂથના BLO તરીકે કામગીરી કરતા હતા.
બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુઃખદ ઘટના ઓલપાડના માસમા ખાતે બની હતી. ડિન્કલબહેન શીંગોડાવાળા પોતાના ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવાર દ્વારા તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના અંગે સુરત ઉત્તરના પ્રાંત અધિકારી અને સુરત ઇસ્ટના ERO નેહાબહેને માહિતી આપી હતી કે, ડિન્કલબહેન 26 વર્ષના હતા અને તેમનું BLO તરીકેનું કામ ઘણું સારું હતું, તેમણે પોતાનું 45 ટકા કામ પૂર્ણ કરી દીધું હતું.
મોત પાછળનું રહસ્ય: કામનું ભારણ કે ગેસ ગીઝર?
મહિલા અધિકારીના આકસ્મિક મોતના કારણે અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પ્રાંત અધિકારીએ જણાવ્યું કે 'બાથરૂમમાં ગેસ ગીઝર હતું અને વેન્ટિલેશન પણ ન હતું. તેઓ બાથરૂમમાં જ બેભાન થઈ જતાં આ ઘટના બની હતી. તેમને હૉસ્પિટલ ખસેડાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા'.
ઘટનાને લઈને અનેક સવાલ
શું ચૂંટણીલક્ષી કામગીરી(SIR)ના કામના ભારણને કારણે આ ઘટના બની? કે પછી ગેસ ગીઝરમાંથી લીક થયેલા ઝેરી ગેસના કારણે આ આકસ્મિક મોત થયું? પોલીસ અને સંબંધિત વિભાગ માટે મહિલા અધિકારીના મોતનું ચોક્કસ કારણ શોધવું હવે તપાસનો વિષય બન્યો છે.
જામનગરમાં ફરજ દરમિયાન શિક્ષિકા બેભાન
સુરતની આ દુઃખદ ઘટના વચ્ચે, રાજ્યમાં BLOની કામગીરી(SIR)ના ભારણને લઈને વધુ એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લામાં 79-વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબહેન ત્રિવેદી ચાલુ ફરજ દરમિયાન એકાએક ચક્કર આવીને બેભાન થયા હતા. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી. જી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હાલ તેમની તબિયત સુધારા પર છે, પરંતુ સતત ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ કર્મચારીઓની સ્વાસ્થ્યની સ્થિતિ પર આ ઘટનાઓએ ગંભીર સવાલો ઊભા કર્યા છે.



