Vadodara BLO News : હાલમાં વડોદરા સહિત રાજ્યમાં ચાલતી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી શિક્ષકો પર વધારાનો બોજ બની છે. આ કામગીરીનો સમયગાળો 31, માર્ચ સુધી લંબાવવા અને મૃતક બીએલઓના પરિવારને આર્થિક સહાયની માંગ સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પ્લે કાર્ડ સહિત સો જેટલા કોંગી કાર્યકરોએ ભારે સૂત્રોચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વડોદરા સહિત રાજ્યમાં હાલ ચાલી રહ્યો છે. આ કામગીરી આગામી તા.4, ડિસેમ્બર સુધીમાં પૂરી કરવાની છે. વડોદરા ખાતે આ અંગે 1200 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મીઓને કામગીરી સોંપવામાં આવી છે પરંતુ હજી સુધી માત્ર 10 ટકા જ કામગીરી થઈ હોવાના આક્ષેપ પણ થયા છે.

સયાજીગંજની પ્રતાપ હાઇસ્કુલ ખાતે કામગીરી કરનાર બીએલઓ ઉષાબેન સોલંકીનું આકસ્મિક અવસાન થયું છે. વધુ પડતી કામગીરીના ટેન્શનમાં અવસાન થયાનો આક્ષેપ પણ વડોદરા કોંગ્રેસ દ્વારા કરાયો છે. જેથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને ચૂંટણી પંચની આ કામગીરી બાબતે આગામી માર્ચ મહિના સુધીની સમય મર્યાદા વધારવા પણ માંગ કરી છે.
કલેક્ટર કચેરીએ 100 જેટલા કોંગી કાર્યકરોએ પ્લે કાર્ડ સહિત ભારે સૂત્રોચાર કર્યો હતો. પ્લે કાર્ડમાં જણાવ્યું હતું કે તગલઘી નિર્ણય અને કામનું વધુ પડતું ભારણ તથા શિક્ષકોને ન્યાય આપો અને અત્યાચાર બંધ કરો શિક્ષકો મજૂરીનો શિકાર બન્યા છે તથા મૃતક બીએલઓના પરિવારને સહાયની પણ માંગ કરતાં સૂત્રોચાર પોકાર્યા હતા. આવેદનપત્ર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત અન્ય કોંગી અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


