સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત્રની તાબડતોબ કામગીરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતના ભીમરાડમાં બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટના બેઝમેન્ટની કામગીરી દરમિયાન દીવાલ તૂટી જવા સાથે માટી ધસી ગઈ હતી. આ ઘટના બાદ 25 ફુટ નજીક આવેલી શિવ રેસીડેન્સીને પણ નુકસાન થાય તેવી ભીતિથી મકાનો ખાલી કરાવાયા હતા. હવે પાલિકા શિવ રેસીડેન્સીને ઝડપથી મજબૂતાઈ મળે અને સલામતી સાથે ઝડપી કામગીરી થાય તે માટે વિવિધ ક્ષેત્રમાં નિપૂર્ણ ઈજનેરોની ફોજ સાથે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારીથી થયેલી દુર્ઘટનાનો રિપોર્ટ ગુજરાત સરકારે માંગતા જવાબદાર અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
ડી વોલ તૂટી પડતા બાજુમાં આવેલી શિવ રેસીડન્સીના 4 બ્લોક ખાલી કરાવાયા
સુરતના ભીમરાડ ચાર રસ્તા પર રાજ લક્ષ્મી ગ્રુપ દ્વારા 13 માળના પાંચ ટાવર બનાવવા માટેની કામગીરી શરૂ કરી છે. આ માટે ત્રણ બેઝમેન્ટ ખોદવાની કામગીરી દરમિયાન પાણી આવતા ડી વોલ તૂટી પડી હતી અને માટી ધસી પડી હતી. આ ઘટનાના કારણે બાજુમાં આવેલી શિવ રેસીડન્સીના ચાર બ્લોક ખાલી કરાવવા પડ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર કામગીરીનો રિપોર્ટ પાલિકા પાસે માંગ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
સુરતના ભીમરાડના ટીપી સ્કીમ નંબર 42 (ભીમરાડ) એફપી નં.60માં નિર્માણાધીન ત્રણ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ વત્તા 13 માળના રેસીડેન્સ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ ‘વિવાન’માં ત્રણ બેઝમેન્ટ કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડી અને ડી વોલ ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટના બની તેની 25 ફૂટ નજીક શિવ રેસીડન્સી આવી છે તેની પાર્કિંગની દિવાલ અને શેડ તૂટી પડ્યા હતા. શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકો છતાં ઘરે બે ઘર થતા ભારે હોબાળો થયો હતો. મંગળવારે રાત્રે અને આજે બપોરે શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકોએ રસ્તા રોકવા સાથે ન્યાયની માંગણી કરી હતી. સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકારને જાણ થતા રાજ્ય સરકારે પાલિકા તંત્ર પાસે ઘટના નો અહેવાલ મંગાવતા પાલિકા તંત્ર દોડતું થયું છે.
અર્થ ફીલીંગની કામગીરી 70 ટકા પૂર્ણ થયાનો દાવો
પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અર્થ ફીલીંગની કામગીરી 70 ટકા પૂર્ણ થઈ છે અને બાકીની કામગીરી આવતીકાલ સુધીમાં પુરી થાય તેવી શક્યતા છે. માટી પુરાણની સાથે લાઇમ નાખી માટીનું ઝડપથી સેટલમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે 8 પોકલેન, 6 જેસીબી, 50થી વધુ ટ્રકો તથા અન્ય મેન પાવર છે, હવે રિપોર્ટ સાથે પાલિકા તંત્ર સરકારમાં રાઉન્ડ ક્લોક ચાલતી કામગીરી રિપોર્ટ રજૂ કરશે.
ભારે ઉહાપોહ બાદ દિલાસો
આજે(18 ડિસેમ્બર) સવારે શિવ રેસીડેન્સીના રહીશો રોડ પર આવી ગયા હતા અને તેમની સલામતી માટે પ્રશ્નો ઉભા કર્યા હતા. દિવસ દરમિયાન પાલિકા દ્વારા ડેવલપર્સ પાસે કામગીરી કર્યા બાદ મોડી સાંજે પાલિકા તંત્રએ સત્તાવાર રીતે સમગ્ર ઘટના માટેની માહિતી આપી હતી. પાલિકાના ડેપ્યુટી કમિશનર અને શહેર વિકાસ વિભાગના વડા મનીષ ડોક્ટરે માહિતી આપતા કહ્યું હતું કે, 16મી રાત્રે ઘટના બની ત્યારથી જ સુરત પાલિકાના શહેર વિકાસ વિભાગ અને અઠવા ઝોનની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. સ્ટ્રકચરલ ઈજનેર અને એસવીએનઆઈટીના સ્ટ્રકચરલ વિભાગના સિનિયર, સાઈલ એક્ષપર્ટ, આર્કીટેક્ટ અને ટીમના માર્ગદર્શન હેઠળ શિવ રેસીડેન્સી ઝડપથી અને સલામત બને તે માટે કામગીરી થઈ રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ સાયન્ટીફીક અને ટેકનીકલ રીતે બેઝમેન્ટ પુરાય તે માટે 1400 ટ્રક જેટલી માટી-ચૂનો નાખી મજબૂતાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી
શિવ રેસીડન્સીના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનો રિપોર્ટ આવી જશે અને સંભવતઃ શનિવારે મોડી રાત્રી સુધીમાં શિવ રેસીડન્સીના અસરગ્રસ્તો પોતાના ઘરે પાછા ફરે તેવી કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત શિવ રેસીડન્સીના પાર્કિંગ તથા અન્ય જે નુકસાન થયું છે તે ડેવલપરના ખર્ચે થઈ રહ્યું છે. આ માટે ડેવલપર અને શિવ રેસીડન્સીના રહેવાસીઓની બેઠક થઈ છે.








