પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત જિલ્લાના માંગરોળ ગામે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુકેમાં વસવાટ કરતા એક એનઆરઆઈ ઘોડાપ્રેમીને પોતાના ઘોડાને ગાજર ખવડાવતી વખતે ગંભીર ઈજા પહોંચી હતી. ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠાનો ભાગ ચાવી લેતા તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ચાર કલાકની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ અંગૂઠો ફરીથી હાથ સાથે સફળતાપૂર્વક જોડી આપ્યો હતો.
અચાનક ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠો ચાવી લીધો
મળતી માહિતી મુજબ, યુકેમાં રહેતા અને મૂળ માંગરોળ ગામના રહેવાસી સલીમભાઈને ઘોડા પ્રત્યે વિશેષ લગાવ છે. તેમના ફાર્મ હાઉસ પર ચાર જેટલા ઘોડા રાખવામાં આવ્યા છે અને તેઓ સમયાંતરે યુકેથી ખાસ ઘોડાઓની સંભાળ લેવા માટે ભારત આવતા રહે છે. તાજેતરમાં સલીમભાઈએ અંદાજે રૂ.12 લાખના ખર્ચે એક નવો ઘોડો ખરીદ્યો હતો. ઘોડાની દેખરેખ અને તાલીમ માટે તેઓ થોડા દિવસ પહેલાં જ યુકેથી માંગરોળ આવ્યા હતા. બે દિવસ અગાઉ બપોરના સમયે તેઓ પોતાના ફાર્મ પર ઘોડાને ગાજર ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠાનો અડધો ભાગ ચાવી લીધો હતો.
બરફમાં સુરક્ષિત રાખી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અંગૂઠો
ઘટના બાદ પરિવારજનો સલીમભાઈને તાત્કાલિક સારવાર માટે સુરત લઈ આવ્યા હતા. જોકે અંગૂઠાનો કાપાયેલો ભાગ ઘોડાના મોઢામાં જ રહ્યો હતો. પરિવારજનો અને ફાર્મના કર્મચારીઓએ લગભગ એક કલાક સુધી પ્રયત્નો કર્યા બાદ ઘોડાના મોઢામાંથી અંગૂઠાનો ભાગ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. અંગૂઠાનો કાપાયેલો ભાગ બહાર મળતા જ તેને તાત્કાલિક બરફમાં સુરક્ષિત રાખીને સુરતની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાત સર્જનોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું.
ચાર કલાકની સફળ માઇક્રો સર્જરી
ડોક્ટરો દ્વારા લગભગ ચાર કલાક સુધી ચાલેલી માઇક્રો સર્જરી બાદ અંગૂઠાનો ભાગ ફરીથી હાથ સાથે જોડવામાં આવ્યો હતો. સર્જરી સફળ રહી હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે અને દર્દીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, સલીમભાઈ ઘોડાઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને લગાવ યથાવત રાખશે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ફરી પોતાના ઘોડાઓની સંભાળ જાતે જ લેશે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: મકર-તુલા સહિત આ 4 રાશિના જાતકોનું નસીબ ચમકશે! સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના યોગ
આ ઘટના ઘોડા જેવા પાલતુ અને તાલીમબદ્ધ પ્રાણીઓ સાથે કામ કરતી વખતે પણ પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. સાથે જ સમયસર સારવાર અને કપાયેલા અંગના યોગ્ય સંરક્ષણને કારણે અંગ બચાવવામાં ડોક્ટરોને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.









