સુરતમાં પૂર માટે શાસકો જવાબદાર, સમીક્ષા બેઠકમાં કામગીરી નહી નાસ્તા-પાણી થાય છે: વિપક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતમાં આવેલા ખાડી પૂર બાદ પાલિકાના વિપક્ષે ભાજપ શાસકો પર ગંભીર આક્ષેપ કર્યા છે. છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તા પર છે પણ શાસકોની અણઆવડતના લીધે સુરત શહેર ફરી પૂરમાં ફસાયું છે. જે સમીક્ષા બેઠક થાય છે તેમાં કામગીરી થતી નથી ચા નાસ્તા કરી અધિકારીઓ છુટા પડે છે. આ ઉપરાંત સુરતમાંથી પસાર થતી ખાડી પર અનેક માર્કેટ તથા મોટા દબાણો થયા છે. તે દબાણો પણ શાસકો દૂર કરી શકવાની હિંમત ધરાવતા ન હોવાથી સુરતીઓએ દર વર્ષે પૂરનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત શહેરમાં બુધવારે ખાડીના પૂર લોકોના ઘર અને દુકાનમાં ઘૂસી ગયાં છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ વર્ષે પૂર આવે તેવી શક્યતા હોવાથી કામગીરી માટે પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ જતા ફરી પૂર આવ્યું છે. આ અંગે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કહ્યુ હતું કે, આ વર્ષે શરૂઆતમાં જ વરસાદમાં આખું શહેર પાણી પાણી થઈ ગયું છે છેલ્લા 30 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે પરંતુ શાસકોની અણઆવડતના કારણે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આ પણ વાંચો: તંત્રનો પાપ કે સ્થાનિકોની બેદરકારી? જાણો સુરતમાં ખાડી પૂરનું શું છે સાચું કારણ
પાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કરે છે પરંતુ કામગીરી થતી ન હોવાથી સુરતીઓની હાલત કફોડી થઈ રહી છે. ચોમાસા પહેલા સમીક્ષા બેઠક થાય છે પરંતુ ચા પાણી નાસ્તા કરી તાયફા કરવામાં આવે છે. યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાંથી પસાર થતી ખાડી પર મોટી મોટી માર્કેટ અને દુનિયાભરના દબાણો થઈ જાય છે તે દૂર કરવાની શાસકોમાં ત્રેવડ નથી કેમકે શાસકોના ખિસ્સા ભરાઈ ગયા છે. તેથી દબાણકર્તાઓને બોલી નથી શકતું.
લોકો લોહી પરસેવો એક કરીને વેરો ભરે છે તો તેનું વળતર ભાજપ શાસકો આવી રીતે આપશે ? મેયર પણ સુરતની જનતાની પરવાહ કર્યા વગર ચોમાસાની શરૂઆતમાં વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા, અને સુરતના લોકોએ આપદા સહન કરવાનો વારો આવ્યો છે તેવો આક્ષેપ કરાયો છે.








