તંત્રનો પાપ કે સ્થાનિકોની બેદરકારી? જાણો સુરતમાં ખાડી પૂરનું શું છે સાચું કારણ
Surat Flood: સુરતમાં ખાડી પૂરનો આજે ત્રીજો દિવસ છે. છેલ્લાં ચાર દિવસથી સુરતમાં અનારાધાર વરસાદના કારણે આખુંય સુરત જાણે જળમગ્ન બની ગયું છે. સુરતની આ પરિસ્થિતિને જોતા લોકો તંત્ર ઉપર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતાં. લોકોનું કહેવું હતું કે, તંત્રની નબળી કામગીરીના કારણે જ સુરતની આવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે.
સ્થાનિકોની બેદરકારી?
છેલ્લાં ઘણાં ચાર દિવસથી વરસાદના કારણે સુરતમાં આવેલા ખાડી પૂરનું કારણ વહિવટી તંત્ર સાથે કેટલાક લોકો પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. લિંબાયતના માધવબાગ વિસ્તારમાં હજુ પણ ખાડીના પાણી ઉતરતા નથી તેનું કારણ સ્થાનિકો જ હોવાનું બહાર આવ્યું છે. વર્ષ દરમિયાન થતા કાર્યક્રમ બાદ કચરો-એઠવાડ નાખવા બનાવેલું કાણું પૂરના પાણીનું પ્રવેશદ્વારા બન્યું છે. સ્થાનિકો દ્વારા ખાડીનું પાણી સોસાયટીમાં ન પ્રવેશે તે માટે દિવાલ બનાવવામાં આવી હતી. જોકે, સ્થાનિકો દ્વારા તેમાં કાણું પાડીને તેમાં એઠવાડ નાંખતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પૂરના પાણી ઓસરી નથી રહ્યા.
નબળી નેતાગીરી?
જોકે, આ સિવાય અન્ય એક કારણ ઝીંગા તળાવ હોવાનું પણ સામે આવ્યું છે. એવી ફરિયાદો ઉભી થઈ રહી છે કે, ઝીંગાના તળાવ દૂર ન થયા હોવાના કારણે સુરતને ખાડી પૂરનો સામનો કરવો પડ્યો છે. સુરતની નબળી નેતાગીરી અને જૂથબંધીના કારણે ખાડી કિનારાનો વિસ્તાર પૂર અસરગ્રસ્ત થયો છે.
કરોડોનું નુકસાન
સુરતમાં પ્રભારી મંત્રીની હાજરીમાં છ મહિના પહેલાં ઝીંગા તળાવના કારણે ખાડી પુર આવી શકે છે તેવી ભીતિ વ્યક્ત થઈ હતી. લાખો લોકો ખાડી પૂરથી પ્રભાવિત થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તેમ છતાં આ ફરિયાદને અધિકારીઓએ ગંભીરતાથી લીધી ન હતી. તો બીજી તરફ સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, ત્રણ ત્રણ રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં તંત્ર દ્વારા મેયરની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ચોમાસાને છ મહિનાની વાર હતી તે પહેલાં જ રજૂઆત થઈ હતી. પરંતુ, સુરતની નબળી નેતાગીરી અને વહિવટી તંત્રની કામ કરવાની ઢીલી નીતિના કારણે આ ચોમાસે ફરી એક વખત સુરતના માથે ખાડી આવી ગયું છે હજી પણ સંકલન ન થાય અને આ દબાણ દૂર ન થાય તો સુરતે બીજા ખાડી પુર માટે તૈયાર રહેવું પડશે તે નક્કી છે.
આ પણ વાંચોઃ સસ્તામાં અનાજ અપાવવાનું કહ્યું વૃદ્ધાની બંગડીઓ ઉતારી બે ગઠીયા ફરાર
હાલ, સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવતા પૂરને રોકવા માટે નિતનવા પ્રયાસો કરવામાં આવે છે. મીંઢોળા નદી દરિયાને મળે છે ત્યાંના ઝીંગાના તળાવ તોડવા માટે કવાયત શરૂ થઈ છે આ ઉપરાંત ખાડીના પૂરના કારણોની તપાસ થઈ રહી છે.