કાયમ મુંબઈથી જતા ડૉક્ટર દંપતીએ અમદાવાદથી લંડન જવાનું નક્કી કર્યુંને કાળનો કોળીયો બન્યાં
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જઈ રહેલું પેસેન્જર વિમાન હતું. આ વિમાન દુર્ઘટનામાંથી એક માત્ર બચી ગયેલા સીટ નંબર 11એના પ્રવાસી વિશ્વાસ રમેશ કુમારની બાજુમાં જ સીટ નંબર 11બી અને 11સી પર બેઠેલાં સુરતના ડોક્ટર દંપતિ ડો.હિતેશ શાહ અને તમના પત્ની ડૉ. અમિતા શાહ કાળનો કોળિયો બની ગયા છે.
ડૉ.હિતેશ શાહ ને ડો. અમિતા શાહના પુત્ર-પુત્રી અમેરિકામાં રહે છે
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતા આ શાહ દંપતી લંડન ખાતે રહેતી પોતાની બહેનને મળવા જઈ રહ્યું હતું. ડોક્ટર હિતેશ શાહના નજીકના લોકો એ જણાવ્યું હતું કે, આ ડોક્ટર દંપતિ બહુધા મુંબઈથી જ લંડન જવાની ફ્લાઈટ પકડતા હતા, પરંતુ તેમનું મૃત્યુ જ અમદાવાદથી લંડનની ફ્લાઈટ પકડવા માટે ખેંચી લાવ્યું હોવાનું જણાય છે. વર્ષો પછી આ વખતે પ્રથમવાર તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા અને કાળ તેમનો કોળિયો કરી ગયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય, સફાઈ-સ્ટાફના 15 લોકો ગુમ, પોલીસ કરશે તપાસ
સુરતના અડાજણ સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહનો દીકરો અને દીકરી અમેરિકા રહે છે. ડોક્ટર હિતેશભાઈ શાહ અડાજણ ખાતે આવેલી સુગમ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં જ તેઓની સ્મિત ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા હતા. પરંતુ સોસાયટીમાં હોસ્પિટલ ચલાવવા બાબતે સોસાયટી વાળાઓ સાથે અવારનવાર અણગમતા બનાવો બન્યા કરતા હોવાથી તેઓએ સોસાયટીમાંથી હોસ્પિટલ બંધ કરી દીધી હતી અને તેઓ પોતાના જૂના ઘરે સુજાતા સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા. અત્યારે તેઓ સુરત જનરલ હોસ્પિટલમાં તેઓ હાલ સેવા આપી રહ્યા હતા.
ડોક્ટર હિતેશ શાહ બે વર્ષ પહેલા જ કેન્સરમાં સપડાયા હતા, પરંતુ કેન્સરને માત આપીને જિંદગીનો જંગ જીતી ગયા હતા. પરંતુ ગુરૂવારે બનેલી વિમાન ક્રેશ દુર્ઘટનામાં તેઓ કોઈપણ જાતના પ્રતિકાર વિના જ કાળનો કોળિયો બની ગયા હતા. તેમને સંઘર્ષ કરવાની ક્ષણ પણ મળી નહોતી. ડૉ. હિતેશ શાહની નિકટના લોકોએ કહ્યું કે, 'મોટાભાગે હિતેશ શાહ મુંબઈ એરપોર્ટ પરથી જ લંડન જતા હોય છે, પરંતુ આજે પ્રથમવાર તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ફ્લાઈટમાં જઈ રહ્યા હતા.'