અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગનો સર્વે શરૂ
Surat Airport : અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ અંગેનો વિવાદ ફરી એક વાર બહાર આવ્યો છે. જોકે, સુરત એરપોર્ટ બિલ્ડિંગને નડતરરૂપ બિલ્ડિંગની એન.ઓ.સી. એરપોર્ટ ઓથોરિટીએ આપ્યા બાદ પાલિકાએ બીયુ પરમિશન આપી હતી. આ બિલ્ડિંગ અંગેના વિવાદ બાદ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી રહીશોને કોર્ટમાં સ્ટે મળ્યો હોવાથી સરકારે સ્ટે દૂર કરવા માટે કોર્ટમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ નજીક નડતરરૂપ 6 પૈકી 5 બિલ્ડિંગોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં જસ્ટ રેસિડેન્સી બિલ્ડિંગની સર્વેની કામગીરી કરવામાં આવી નથી. આગામી બે દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
સુરત એરપોર્ટને અડીને આવેલી ફ્લોરન્સ કો.ઓ. હાઉસિંગ સોસાયટી, સાર્જન એપાર્ટમેન્ટ, ફ્લોઓના બિલ્ડિંગ, રવિ રત્નમ અને એલેન્ટી બિલ્ડિંગના સર્વે કામગીરી હાથ ધરાઇ હતી. સર્વેની કામગીરી બાદ નડતરરૂપ ભાગમાં માર્કિંગની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
શું હતો વિવાદ?
સુરત શહેરમાં એરપોર્ટની શરૂઆત પછી વર્ષ 2017-18 થી એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ માટેનો વિવાદ શરૂ થયો છે. શરૂઆતમાં પાલિકાએ ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, પાલિકાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, એરપોર્ટ ઓથોરિટી પાસેથી એન.ઓ.સી. લીધા બાદ જ પાલિકાએ બિલ્ડિંગ વપરાશ માટેની પરવાનગી આપી છે. આવા વિવાદ બાદ 27 પ્રોજેક્ટ એરપોર્ટ માટે નડતરરૂપ હોવાનું જાહેર કર્યું હતું. જેમાંથી 21 પ્રોજેક્ટના ડેવલપર-બિલ્ડર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં એરપોર્ટ ઓથોરિટિની એન.ઓ.સી., પાલિકાની બીયુ પરમીશન ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ તથા અન્ય વિભાગ સાથે થયેલા પત્રવ્યવહાર અને મંજૂરી પણ રજુ કરવામાં આવી છે.
બાકીની સાત બિલ્ડિંગ દ્વારા કોર્ટમાં દાદ માંગવામાં આવી ન હતી તે બિલ્ડિંગ નડતરરૂપ છે તે માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, એરક્રાફ્ટ રૂલ્સ 147-48 પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને પત્ર લખે છે કે આટલી બિલ્ડિંગ ફ્લાઈટ માટે નડતરરૂપ છે તેને દુર કરવી કે ડિમોલીશન કરવી પડશે અને આ કામગીરી કલેક્ટર દ્વારા કરવાની રહે છે. જોકે, કલેક્ટર પાસે મેન પાવર અને મશીન પાવર નથી. પાલિકા સાથે આ મુજબની સંયુક્ત બેઠક થઈ હતી. જેમાં સુરત પાલિકાની સીધી જવાબદારી નક્કી નથી પરંતુ કલેક્ટર ડીમોલીશન કરવા માટે તૈયાર થાય તો સુરત પાલિકાએ મેન પાવર અને મશીન પાવર માટે કોર્ટમાં એફિડેવીટ પણ કરવામા આવી હતી.
બે વર્ષ પહેલાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે કલેક્ટરને પત્ર લખ્યો હતો તેની નકલ સુરત પાલિકાને પણ મોકલવામાં આવી હતી. જેના અનુસંધાને સુરત પાલિકાએ ડિમોલીશન જવાબદારી પાલિકાની નથી તેમ છતાં કલેકટર ડિમોલીશન માટે કહે તો મેન પાવર અને મશીન પાવર આપવા માટેનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો હતો.