ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક, સંગ્રહખોરો સામે થશે કાર્યવાહી
Gujarat Government : ગુજરાત પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાએ મળી રહે તે માટેનું વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
આ માટે 38 જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરો દ્વારા દરરોજ કરવામાં આવે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરોને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ, ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવા અપીલ
જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જીવનજરૂરી ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ જીવનજરૂરી ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટરો દ્વારા કરવામાં આવશે.
છેલ્લા 6 વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો (રિટેલ ઈન્ફ્લેશન) સૌથી ઓછા સ્તરે છે. એટલું જ નહીં, તમામ જીવનજરૂરી ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે. આ સમગ્ર બાબતોને ધ્યાને લઇને તમામ નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં.