Gujarat

સુરત મ્યુનિ. તંત્ર દ્વારા દુકાને-દુકાને ફરીને 7 થી 10 દિવસ સેલ્ફ લોકડાઉનની અપીલ

By GS Team
15 Jul 20202 mins read
This article was originally published on 15 Jul 2020
સુરત મ્યુનિ. તંત્ર દ્વારા દુકાને-દુકાને ફરીને 7 થી 10 દિવસ સેલ્ફ લોકડાઉનની અપીલ

સુરત, તા. 15 જુલાઈ, 2020, બુધવાર

સુરતમાં લોક ડાઉન વખતે મ્યુનિ. તંત્ર કોઈ પણ દુકાન ન ખુલે તે માટે લોક ડાઉનનો કડક અમલ કરવા માટે આદેશ આપતી હતી. પરંતુ હવે સુરતની સ્થિતિ બગડતાં હવે મ્યુનિ.નો સ્ટાફ દુકાને દુકાને ફરીને લોકોને શહેરની સ્થિતિ સમજાવી રહી છે. લોકોને સંક્રમણથી બચવા અને અન્યને બચાવવા માટે 7 થી 10દિવસના સ્વૈચ્છિક લોક ડાઉન માટે અપીલ કરી રહી છે.

સુરતમાં દસ દિવસ પહેલા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 5693 હતી પરંતુ આજે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 7540ને પણ પાર કરી ગઇ છે. આ ઉપરાંત સુરતમાં દસ દિવસમા ૧૨૫થી વધુ સત્તાવાર મૃત્યુ થયા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ લેતું નથી તો બીજી તરફ લોકો પણ વધુ બિંદાસ્ત બની રહ્યા ંછે. આવા સમયે સુરત મ્યુનિ. તંત્ર હવે લોકો પાસે જઈને સેલ્ફ લોક ડાઉનની  અપીલ કરી રહ્યું છે. વિવિધ ઝોનના કર્મચારીઓ પોતાના વિસ્તારની દુકાન દુકાન ફરીને લોકોને શહેરની સ્થિતિ સમજાવી રહ્યા છે. દુકાનો અને કેટલીક સંસ્થાઓ સ્વૈચ્છિક બંધ પાળે તો ભીડ ઓછી થવા સાથે સંક્રમણ પણ ઓછું થાય તેવું સમજાવી રહ્યા ંછે.

રાંદેર ઝોનમાં કેટલાક દુકાનદારોએ સ્વૈચ્છીક બંધ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અને જીવન જરુરીયાતની ચીજો સિવાયની દુકાનો બંધ રાખવા તૈયારી દર્શાવી છે. કેટલાકે કાલથી જ એક સપ્તાહ લોકોડાઉનનો નિર્ણય લીધો છે. દરમિયાન ખૂલ્લી રહેતી દુકાનોમાં ગાઇડલાઇનનું પાલન નહી થાય તો આકરો દંડ અને કાયદેસર કાર્યવાહી પણ થશે. દરમિયાન મ્યુનિ. ટીમને દુકાને-દુકાને ફરતી જોઇને દુકાનો કાલથી ફરજિયાત બંધ કરાવાઇ રહી હોવાની અફવા ફેલાઇ હતી.

મ્યુનિ. તંત્ર ફરજ્યાત બંધ કેમ નથી કરાવતું?

સુરતમાં છેલ્લા દસ દિવસમાં 1850 જેટલા પોઝીટીવ કેસ વધી ગયાં છે ત્યારે તંત્રએ લોકોને દુકાને દુકાને ફરીને સેલ્ફ લોક ડાઉનની અપીલ શરૃ કરી છે. સુરતમાં હાલ સ્થિતિ ગંભીર છે તો મ્યુનિ. કે પોલીસ ંતંત્ર કાયદાકીય રીતે લોક ડાઉન કેમ કરાવતી નથી? તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યાં છે. લોકો કહે છે  મ્યુનિ.તંત્ર ખુદ કહે છે શહેરની  સ્થિતિ સારી નથી અને હજી ઘણી બગડી શકે છે તો મ્યુનિ. તંત્રએ કડકાઈથી દુકાનો બંધ કરાવવી જોઈએ.