Get The App

આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ 1 - image

કરમસદ-આણંદ પાલિકાના ટેક્સ વિભાગની કાર્યવાહી 

અન્ય 4 મિલકત ધારકો પાસેથી રૂપિયા ૧.૫૦ લાખના વેરાની વસૂલાત કરાઈ, વેરા બાદીદારો સામે તવાઇ

આણંદ: કરમસદ-આણંદ પાલિકાના ટેક્સ વિભાગ દ્વારા આણંદના લોટીયા ભાગોળ વિસ્તારના સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં બાકી વેરો જમા નહીં કરાવતી ૬ દુકાનો સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ૪ મિલકત ધારકો પાસેથી રૂ. ૧.૫૦ લાખ બાકી વેરાની રકમ વસૂલવામાં આવી હતી.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે-તે મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવાપાત્ર થતો બાકી વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા રાજ શિવાલય સિનેમા પાસે આવેલા સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં રૂ. ૫૬,૪૧૫નો બાકી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી ૬ દુકાન સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય ૦૪ મિલકતો ધારક પાસેથી સ્થળ ઉપર જ બાકી વેરાની રકમ રૂ.૧,૫૦,૦૦૦ વસૂલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા મનપા વિસ્તારમાં આવેલા મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો જમા કરાવવા અપીલ કરવામાં આવી છે, અન્યથા ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો,એકમો સીલ કરવામાં આવશે, તેમ ચેતવણી પણ અપાઈ હતી.