સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા હાઇકોર્ટનું સૂચન, ટૂંક સમયમાં સરકાર લેશે નિર્ણય
Seventh Day School Case: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા સગીરની હત્યાને લઈને વિવાદ ખૂબ વકર્યો હતો અને તેણે હિંસાત્મક રૂપ લઈ લીધું હતું. રાજ્યભરમાં ચકચારી મચાવનાર આ કેસને લઈને સ્થિતિ વધુ ન વકરે અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને લગભગ એક મહિનાથી આ શાળા બંધ હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હવે ટૂંક સમયમાં ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ પણ શાળાએ પરત ફરશે. હાઇકોર્ટ દ્વારા આ અંગે સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે
હાઇકોર્ટ 10 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની કરી ચિંતા
હકીકતમાં ગુજરાત હાઇકોર્ટે 10 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા સેવન્થ ડે સ્કૂલમાં ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું સૂચન કર્યું હતું. હાઇકોર્ટની સૂચના બાદ 16 સપ્ટેમ્બરે સરકારની બેઠક મળશે અને આ બેઠક બાદ શાળા શરૂ કરવા અંગેનો રિપોર્ટ બનાવવામાં આવશે. આ રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે અને ત્યારબાદ શાળા ક્યારે અને કેવી રીતે ફરી શરૂ કરાશે તે વિશે નિર્ણય લેવાશે.
શું હતી ઘટના?
અમદાવાદમાં 19 ઓગસ્ટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને શુક્રવારે (22મી ઓગસ્ટ) પોલીસે ખાનપુર સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કિશોરને રજૂ કરતાં પહેલાં પણ પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ફરતે તહેનાત કરી દેવાયું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.