સાવરકુંડલામાં યુરિયા ખાતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર ન મળતા 70 ગામોના ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓએ આજે (14મી જુલાઈ) ઉગ્ર દેખાવ કર્યો હતો. ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખેડૂતોને વહેંચતા નથી
પ્રાપ્ત માહિતી અનુસાર, ખરીદ વેચાણ સંઘ પાસે 50 ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, ખેડૂતોને ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ વરાપ નીકળ્યો હોવાથી ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતર ન મળવાને કારણે તેમને પારાવાર નુકસાની વેઠવાનો ભય સતાવી રહ્યો છે.

ખેડૂતોમાં ભારે રોષ ભડક્યો
ખેડૂતોના દેખાવ દરમિયાન જાણવા મળ્યું કે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ છેલ્લા 15 દિવસથી રદ કરવામાં આવ્યું છે, જેના કારણે ખાતરનું વેચાણ બંધ છે. આ માહિતી સામે આવતા ખેડૂતોનો રોષ વધુ ભડક્યો હતો.
આ પણ વાંચો: વિશ્લેષણ: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો?
ખેડૂતોએ સંઘના ગોડાઉન પાસે હલ્લાબોલ કરી તાત્કાલિક ખાતર વિતરણ શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો તેમના પાકને મોટું નુકસાન થશે. ખેડૂતોએ તંત્રને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે.'








