Get The App

Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો?

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: ઈટાલિયાને ફસાવવાનો ભાજપનો 'ગેમ પ્લાન' કે AAPને નબળી પાડવાનો કારસો? 1 - image


Gujarat Politics AAP vs BJP News : ગુજરાતના રાજકારણમાં તાજેતરમાં ખેલાયેલા રાજીનામાના નાટકે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના સૌથી મજબૂત નેતા અને વિસાવદરના પદનામિત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ભાજપના કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવેલો 'રાજીનામું આપી ફરી ચૂંટણી લડવાનો' પડકાર, માત્ર એક રાજકીય દાવપેચ હતો કે પછી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં નબળી પાડવાની મોટી રાજકીય ચાલ?

ચાલો જાણીએ, આ ડ્રામા પાછળના સંભવિત કારણો, ભાજપના છુપા ઇરાદા અને તેના વ્યાપક રાજકીય પરિણામોનું વિશ્લેષણ.  

ઇટાલિયાની રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાનો 'ગેમ પ્લાન'?

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકતા કહ્યું કે, ‘આપણે બંને રાજીનામું આપી દઈએ અને મોરબીથી ફરી ચૂંટણી લડીએ.’ એટલું જ નહીં, જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો બે કરોડ રૂપિયા આપવાની વાત પણ તેમણે કરી. ઉપરછલ્લી રીતે આ એક રાજકીય બહાદુરીનો પડકાર લાગતો હતો, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમગ્ર પ્લાન ગોપાલ ઇટાલિયાની ઉભરી રહેલી રાજકીય કારકિર્દીને ખતમ કરવાનો હતો.

ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે હજુ શપથ નથી લીધા

મહત્ત્વની વાત તો એ છે કે ગોપાલ ઇટાલિયાએ હજુ ધારાસભ્ય તરીકે શપથ લીધા જ નથી, ત્યારે તેઓ કયા પદ પરથી રાજીનામું આપે? આ સવાલ જ દર્શાવે છે કે કાંતિ અમૃતિયાનો પડકાર માત્ર ઇટાલિયાને ઉશ્કેરવા અને તેમને ફસાવવા માટેનો હતો. જો ઇટાલિયા ઉતાવળમાં કોઈ ભાવનાત્મક નિર્ણય લેત અને ‘રાજીનામું’ આપવાની જાહેરાત કરે તો તે બંધારણીય રીતે અમાન્ય ઠરેત અને તેમને રાજકીય રીતે હાસ્યાસ્પદ સાબિત કરી શકાયા હોત. આનાથી તેમની રાજકીય છબિને મોટો ફટકો પડત અને "નવા નિશાળિયા" તરીકે તેમને રજૂ કરવાનો અવકાશ મળી જાત. 

પ્રવીણ રામે અગાઉથી સંકેત આપ્યા હતા કે આ એક રાજકીય ડ્રામા છે. તેમણે કહ્યું હતું કે ‘કાંતિકાકા ગાંધીનગર જઈને વીડિયો બનાવીને વાઘ માર્યો હોય એમ નાટક કરશે અને જનતાનું ધ્યાન ભટકાવશે...’ એટલે કે, આ એક પહેલેથી વિચારેલી વ્યૂહનીતિ હતી, જેમાં ઇટાલિયાની પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હતો.

આમ આદમી પાર્ટીને નબળી પાડવાનો એજન્ડા

આ રાજકીય દાવપેચ પાછળનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં નબળી પાડવાનો સ્પષ્ટ પ્લાન હોવાની પણ ચર્ચા છે. આ યોજનાના કેટલાક મુખ્ય પાસાઓ પર  નજર કરીએ.

આમ આદમી પાર્ટીના મનોબળને તોડી નાંખવું

જો ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાની વાતોમાં આવીને રાજીનામું આપે, તો તેની AAPના કાર્યકરો અને સમર્થકોના મનોબળ પર નકારાત્મક અસર પડે. વિસાવદરમાં સતત બીજી વખત "આપ"ની જીત (પહેલા ભૂપત ભાયાણી અને પછી ઇટાલિયા) એ દર્શાવે છે કે આ વિસ્તારમાં ‘આપ’ની પકડ મજબૂત થઈ રહી છે. આવા સંજોગોમાં એક મોટા નેતાનું ‘રાજીનામું’ પક્ષની સ્થિતિને નબળી પાડી શકે છે.

વિસાવદરની જનતાને ‘સબક’ શીખવવો 

વિસાવદરની જનતાએ સતત બીજી વાર ‘આપ’ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ રાજકીય ડ્રામા દ્વારા, જનતાને પરોક્ષ રીતે એવો સંદેશ આપવાનો પ્રયાસ હોઈ શકે કે AAPના નેતાઓમાં સ્થિરતા નથી અથવા તેમના નિર્ણયોમાં સુસંગતતા નથી, જેથી ભવિષ્યમાં AAPને મત આપતા પહેલા જનતા બે વાર વિચારે.

પ્રાદેશિક નેતૃત્વને નબળું પાડવાનો કારસો  

ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં AAPનો એક મુખ્ય અને આક્રમક ચહેરો છે. તેમને રાજકીય રીતે ફસાવીને અથવા તેમની છબિ ખરડીને, ગુજરાતમાં AAPના પ્રાદેશિક નેતૃત્વને નબળું પાડવાનો આ એક પ્રયાસ પણ હોઈ શકે. જો ઇટાલિયા રાજકીય રીતે નબળા પડે તો તે સમગ્ર AAPના સંગઠન પર નકારાત્મક અસર કરી શકે.

ડાયવર્ઝન ટેકનિક અને વિસાવદરમાં AAPની છબિ બગાડવાનો પ્રયાસ: 

આ રાજકીય ડ્રામા પાછળ અન્ય પણ કેટલાક ગહન કારણો હોઈ શકે છે, જેમકે..

ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી ધ્યાન ભટકાવવું 

તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સરકારની છબિને મોટો ફટકો પહોંચાડ્યો હતો. આવા સંવેદનશીલ સમયે, એક મોટા રાજકીય ડ્રામાનું સર્જન કરીને, મીડિયા અને જનતાનું ધ્યાન મૂળ મુદ્દા પરથી હટાવી શકાય છે. આ એક ક્લાસિક ‘ડાયવર્ઝન ટેકનિક’ છે, જ્યાં એક મોટા વિવાદ પરથી ધ્યાન હટાવવા માટે અન્ય કોઈ વિવાદ ઊભો કરવામાં આવે છે.

વિસાવદરમાં AAPની મજબૂત થતી છબિ બગાડવી: વિસાવદર જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહી છે, ખાસ કરીને સ્થાનિક મુદ્દા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપીને. ગોપાલ ઇટાલિયા જેવા કદાવર નેતાને નિશાન બનાવીને, "આપ"ની છબિ બગાડવાનો અને તેમના કાર્યકરોનું મનોબળ તોડવાનો આ એક વ્યૂહાત્મક પ્રતિ-હુમલો હતો. જો ઇટાલિયા આ પડકાર સ્વીકારત, તો ભાજપને વિસાવદરમાં ‘આપ’ને નબળી પાડવા માટે એક નવું પ્લેટફોર્મ મળી જાત.

આમ, રાજીનામાનો આ રાજકીય ડ્રામા માત્ર એક વ્યક્તિગત પડકાર ન હતો, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉદયને રોકવા અને ભાજપની રાજકીય પકડ જાળવી રાખવા માટેની એક સુનિયોજિત અને બહુઆયામી રાજકીય ચાલ હોવાની ચર્ચા છે. ગોપાલ ઇટાલિયાએ કદાચ આ ચાલને પારખીને ગાંધીનગર આવવાનું માંડી વાળી આ રાજકીય ડ્રામાનું ‘સૂરસૂરિયું’ કરી દીધું, જેનાથી ભાજપનો આ "ગેમ પ્લાન" હાલ પૂરતો નિષ્ફળ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં "આપ" અને ભાજપ વચ્ચેના સંઘર્ષની તીવ્રતાનો સંકેત આપે છે.

રાજકીય 'હિંમત’નું પ્રદર્શન કે નબળાઈ છુપાવવાનો પ્રયાસ?

કાંતિ અમૃતિયાનો આ પડકાર ઉપરછલ્લી રીતે પોતાની રાજકીય 'હિમ્મત' દર્શાવવા અને વિપક્ષને પડકાર ફેંકવા જેવો લાગી શકે છે. પરંતુ, ઊંડાણપૂર્વક જોઈએ તો આ ભાજપની ગુજરાતમાં પેટાચૂંટણીઓ જીતવાની ક્ષમતા અને સત્તાના જોરે વિપક્ષીઓને નિષ્ફળ સાબિત કરવાની રણનીતિનો એક ભાગ પણ હોઈ શકે છે. ભૂતકાળમાં પણ ભાજપે અન્ય પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના પક્ષમાં ખેંચીને (જેમ કે ભૂપત ભાયાણીના કિસ્સામાં) વિપક્ષને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે, સીધું ખરીદવાના બદલે, માનસિક દબાણ અને રાજકીય ફસાવટ દ્વારા વિપક્ષી નેતાને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ હતો.

મીડિયા કવરેજ અને જનતાની ધારણા પર અસર

આ પ્રકારના રાજકીય ડ્રામા મીડિયાનું વ્યાપક કવરેજ મેળવે છે. ભાજપનો ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલિયાને એવી પરિસ્થિતિમાં મૂકવાનો હતો જ્યાં તેમને કાં તો પડકાર સ્વીકારવો પડે જે તેમના માટે નુકસાનકારક હોત અથવા તો પીછેહટ કરવી પડે, જે તેમને 'ડરપોક' કે 'પલાયનવાદી' તરીકે રજૂ કર્યા હોત. આનાથી જનતાની ધારણા પર સીધી અસર થાય છે. જોકે, ઇટાલિયાએ શાણપણપૂર્વક આ ચાલને નિષ્ફળ બનાવી, જેથી ભાજપનો આ પ્રયાસ સફળ ન થયો.

ભવિષ્યના રાજકારણ પર સંભવિત અસરો

આ ઘટના ગુજરાતના રાજકારણમાં આક્રમક રાજકીય દાવપેચનું નવું સ્તર દર્શાવે છે. ભાજપ દ્વારા વિપક્ષને સીધા સંબોધીને અથવા પડકાર આપીને નબળા પાડવાના પ્રયાસો ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. આનાથી AAP જેવા ઉભરતા પક્ષોને પોતાની રણનીતિઓ વધુ મજબૂત બનાવવાની અને આવા 'ટ્રેપ'માં ન ફસાવા માટે સજ્જ રહેવાની ફરજ પડશે. આ ઘટના ગુજરાતમાં દ્વિ-પક્ષીય રાજકારણ એટલે કે ભાજપ vs AAP વધુ તીવ્ર બનવાના સંકેત પણ આપે છે, જ્યાં ભાજપ AAPને મુખ્ય હરીફ તરીકે ગણીને તેને શરુઆતમાં જ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


Tags :