સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા હોવાનો આક્ષેપ
Saurashtra University controversy : ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર-નવાર કોઈને કોઈ કારણોસર સતત વિવાદમાં રહે છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલી પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવતાં વિવાદ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમમાં અભ્યાસ કરતાં અભિષેક ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું છે કે ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં બી.કોમની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં હું હાજર હતો તેમ છતાં યુનિવર્સિટીએ મને ગેરહાજર ગણાવ્યો છે. જેના પુરાવા મારી પાસે છે. આજથી 15 દિવસ પહેલાં મેં યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. પોલીસ દ્વારા પણ અરજી આપવામાં આવી છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી.
આ પણ વાંચો: કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી
યુનિવર્સિટી દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવે છે કે તમારી ભૂલ સુધારી દેવામાં આવશે પરંતુ કોઈ રિસ્પોન્સ મળતો નથી. જો યુનિવર્સિટી આ પરીક્ષા મને પાસ ન કરે તો મને આગળ તકલીફ પડે એમ છે. મારે આગળ માસ્ટર કરવાનું છે, જેમાં એડમિશન લેવું મને મુશ્કેલ પડી જશે. મારું રિઝલ્ટ સુધારવામાં આવે તેવી યુનિવર્સિટીને અપીલ કરું છું.
આવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની સાથે આ પ્રકારે બન્યું છે. અન્ય એક વિદ્યાર્થીએ બીકોમ સેમેસ્ટર 6ની પરીક્ષા આપી હતી, તેમ છતાં તેને ગેરહજર ગણાવ્યો છે. પરીક્ષા આપનારા અને કાગળ ઉપર ગેરહાજર રહેનારા છાત્રો પણ સામે આવ્યા છે. હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવાનું સામે આવ્યું છે. પરીક્ષા વિભાગ દ્વારા વારંવાર છબરડાં કરાતાં હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. યુનિવર્સિટીની બેદરકારી ભોગ બનતાં અનેક છાત્રોના પરિણામો લટકી ગયા છે. રિએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ પણ આવ્યું નથી.