સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય
Dilapidated Bridge In Mehsana: આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. જે બાદ રાજ્યના તમામ પડું પડું બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી હારીજ જતા રોડ પર સાપાવાડા ગામ નજીક રૂપેણ નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજને લઈને વાહનચાલકોમાં ભયનો માહોલ છે.
સાત કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો હતો
મળતી માહિતી અનુસાર, બહુચરાજીથી હારીજ જતા રૂપેણ નદી ઉપરના બ્રિજની એપ્રોચ સ્લેબ બેસી જતાં જોખમી હાલતમાં છે. આ બ્રિજના એક બાજુના છેડાનો ભાગ ક્ષતિગ્રસ્ત છે, જેના કારણે વાહનોની અવરજવરમાં બ્રિજના વાઈબ્રેશનમાં વધારો થતા વાહનચાલકોમાં ડરનો માહોલ છે. નોંધનીય છે કે, આ બ્રિજનું બાંધકામ લગભાગ સાત વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાના ખર્ચે થયું હતું. પરંતુ બ્રિજની આવી દયનીય સ્થિતિ થઈ જતાં તેની ગુણવત્તા અને બાંધકામની પ્રક્રિયા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું!
ગુજરાતમાં 97 બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના તમામ બ્રિજની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે. આ ઉપરાંત 39 પુલ તો ગમે તે ઘડીએ ધરાશાયી થાય તેવી અવસ્થામાં છે.
અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીન 364 બ્રિજો પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં ત્રણ બ્રિજ એવા છે તે પડું પડું છે. સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2, નવસારીમાં 2 બ્રિજ જર્જરિત હોવાનું સરકારે કબૂલ્યું છે.