સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત
Sabarkanatha Rain: સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં શનિવારે સરેરાશ 6 ઇંચ વરસાદ અને છેલ્લા 4 દિવસમાં જ 10 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓ અને ઝરણાં જીવંત બન્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ધોધ જીવંત બનતાં સહેલાણીઓ નાહવા માટે ઉમટી પડે છે. ત્યારે સાબરકાંઠામાં નાહવા ગયેલા બે યુવકો તણાયા હોવાની ઘટના બની છે. જેમાં એક યુવક સપ્તેશ્વર નદીમાં તણાયો છે, જ્યારે વિજયનગરમાં ધોધ પર સેલ્ફી લેવા જતાં યુવક ડૂબ્યો હતો.
સેલ્ફીના ચક્કરમાં ભિલોડાના યુવકનો પગ લપસતાં મોત
અરવલ્લી જિલ્લાના ભિલોડા, તાલુકાના પાલ્લા ગામ પાસે આવેલા ઓડ ગામનો આશાસ્પદ યુવક મેણાત અલ્પેશભાઈ (ઉ.વ.18) વિજયનગર તાલુકાના કણાદર ગામ નજીક આવેલા ધરતી માતાના વિનિતા મંદિરના દર્શન કરવા ગયો હતો. ગ્રામીણ વિસ્તારમાં મિત્રો જોડે ધરતી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને પરત ફરતા મંદિરના પાછળના ભાગમાં આવેલા પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા વહેતા ધોધ પર ચડીને મોબાઈલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પથ્થર પર અસહ્ય લીલ હોવાના કારણે યુવકનો પગ લપસી જતાં એકાએકા વહેતા પાણીના ધોધમાં પડવાથી યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. આ કરૂણ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
આ પણ વાંચો: ખાડાથી પ્રજા ત્રાહિમામ : કમરના દુઃખાવાના કેસ 25% વધ્યાં, ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુનાં મોત
ઇડરના સપ્તેશ્વર પાસે સેલ્ફી લેવા જતા યુવક સાબરમતીમાં ડૂબ્યો
ઈડર તાલુકાના આવેલ સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવાનનો પગ લપસતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઈડરના સપ્તેશ્વરર પાસે આવેલી સાબરમતી નદીમાં એક યુવાનનો સેલ્ફીના ચક્કરમાં પગ લપસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થયો હતો. આ યુવાન મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાનો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા યુવાનની સતત બે કલાકથી શોધખોળ ચાલી રહી છે.
ભિલોડામાં સાડા છ ઇંચ વરસાદથી જળબંબાકાર
ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં શનિવારની રાત્રી દરમિયાન મેઘરાજા ભિલોડામાં મહેરબાન થયા હતા. ભિલોડામાં રાત્રિ દરમિયાન સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં રાત્રીના 8 થી 10 કલાકમાં 50 મી.મી અને મધ્યરાત્રીના 2 થી 4 કલાકના બે કલાકમાં 95 મીમી વરસાદ ખાબક્તા સમગ્ર વિસ્તાર જળ બંબાકાર બન્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયા અને પંથકની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. શનિવારે રાત્રે માઝુમ ડેમના બે ગેટ ખોલી 3 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું.