સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarkantha Violence: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં શુક્રવારે (18 ઓક્ટોબર) રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ 20 જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને હવે આ મામલે 60 લોકો સામે નામજોગ અને 120 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત
પોલીસે દાખલ કર્યો ગુનો
પોલીસે હિંસા આચરનારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ 60 જેટલા લોકોની નામજોગ ફરિયાદ અને અન્ય 50 જેટલા લોકો સહિત કુલ 110થી વધુના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે 20 લોકોની અટકાયત પણ કરી છે અને CCTV ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.


શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, તોફાની બનેલા 110થી વધુના ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હુમલામાં કુલ 26 કાર, 51 બાઇક, 6 ટેમ્પો (2 મોટા અને 4 મિની), અને 3 ટ્રેક્ટર સહિત 96થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 10 જેટલા મકાનોને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું છે.

આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો તુરંત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









