રેવન્યુ તલાટી-2025ની ભરતીની જાહેરાત: જાણો ફોર્મ ભરવાની તારીખ, લાયકાતમાં ફેરફાર સહિતના બદલાયેલા નિયમો
Revenue Talati 2025 Recruitment : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં આગામી 26 મે, 2025ના બપોરના 2 વાગ્યાથી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે. મહેસૂલ વિભાગ હસ્તકની આગામી રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતી પ્રક્રિયા નવા નિયમો હેઠળ લેવામાં આવશે. જેમાં ઉમેદવારોની લાયકાત, ઉંમર, પરીક્ષા સહિતની બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો
હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી
રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે.
રેવન્યુ તલાટીની ભરતીમાં પ્રિલિમરી પરીક્ષા 200 માર્કની રહેશે, જે MCQ આધારિત લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 3 પેપર રહેશે. જેમાં અંગ્રેજી ભાષાનું 100 માર્ક્સનું પેપર, ગુજરાતી ભાષાનું 100 માર્ક્સનું પેપર અને જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર ધોરણ 12 કક્ષાના આવશે. જેમાં ગુજરાતી વિષયના પેપરમાં નિબંધ, ગધ સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, પત્ર લેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ રહેશે. આમ મુખ્ય પરીક્ષા કુલ 350 ગુણ રહેશે.
આ પણ વાંચો: રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની કરાશે ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત
જનરલ સ્ટડીઝના પેપરમાં સામાન્ય અભ્યાસ (મુખ્ય પરીક્ષા) જે વર્ણનાત્મક હશે. જેમાં ગુણભાર -150 માર્ક્સ હશે અને માધ્યમ-ગુજરાતી હશે, જેની માટે સમય 3 કલાકનો સમય રહેશે. જેમાં નીચે મુજબના વિષયો રહેશે.
(a) ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ
(b) સાંસ્કૃતિક વારસો (ગુજરાતને પ્રાધાન્ય)
(c) ગુજરાત તથા દેશની ભૂગોળ
(d) વિજ્ઞાન અને ટેકનોલોજી
(e) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત
(f) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
(g) ભારતીય અર્થતંત્ર અને આયોજન
(h) જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી
(i) જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (Ethics) વિષયો હશે.