Get The App

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ

લોકોએ જાતે ડ્રેનેજ સફાઈ કરી, દુષિત પાણીથી વિસ્તારમાં બીમારીનો ભય

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ 1 - image

વોર્ડ નંબર-૧૨માં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં રેલવે લાઇન પાસેના જય ભવાની નગરના રહીશોએ આજે પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકરની આગેવાનીમાં રહીશો જાતે જ ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરી પડ્યા હતા.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે. વારંવાર ફરિયાદો કરવા છતાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવતું નથી. ખાસ કરીને ડ્રેનેજ લાઈન ઘણા સમયથી ચોકઅપ હોવાથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે.

ડ્રેનેજનું ગંદુ પાણી ચેમ્બરની બાજુમાં આવેલા પાણીના વાલ્વમાં ભળી જતાં ઘરોમાં આવતું પાણી પણ દુષિત બની રહ્યું છે. પરિણામે લોકોના આરોગ્ય પર અસર પડી રહી છે અને વિસ્તારમાં બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે.

મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રહીશોએ આજે તંત્રનું ધ્યાન દોરવા માટે જાતે જ ડ્રેનેજ લાઈનની સફાઈ હાથ ધરી હતી. આ દરમિયાન નાના બાળક દ્વારા પણ ડ્રેનેજ સફાઈ કરવામાં આવતા તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.

રહીશોએ માગ કરી છે કે, મ્યુનિ. કોર્પોરેશન તાત્કાલિક ડ્રેનેજ અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે.