રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News: રાજકોટ શહેરમાં નિવૃત એન્જિનિયરે પત્ની સાથે મોત વ્હાલું કર્યું છે. રાજકોટ મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદે નિવૃતથી નિવૃત થયેલા અને યુનિવર્સિટી રોડ પર રહેતા વૃદ્ધ અને તેમની પત્નીએ 20 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ પરિવારજનોને જાણ થતાં ગંભીર હાલતમાં તેમણે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટુંકી સારવાર બાદ દંપતીએ દમ તોડી દીધો હતો.
પહેલા પતિ અને 2 કલાક બાદ પત્નીનો જીવ ગયો
ભીડભંજન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરીયાઅને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા જેમની બંને ઉમર 70 વર્ષે છે તેઓ ઘરે દીકરી સાથે રહેતા હતા. ગઈકાલે મોડીરાત્રે 2 વાગ્યાની આસપાસ તેમણે ઝેરી દવા પીધી હતી. બાદમાં તેમણે દીકરીને જાણ કરતાં પરિવાર ભેગો થઈ ગયો હતો. અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ICU વોર્ડમાં સારવાર વખતે પહેલા રાજેન્દ્રભાઈ અને બે કલાક બાદ તેમની પત્ની પન્નાબેનનો જીવ જતો રહ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં વૃદ્ધ દંપતીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી તપાસ હાથ ધરી હતી.
સુસાઇડ નોટમાં બીમારીનો ઉલ્લેખ
ફરિયાદ બાદ પોલીસે પરિવાજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં દંપતીએ લખ્યું હતું કે 'અમે બન્ને પતિ-પત્નીએ બધું સુખ જોઈ લીધું છે. દીકરો અને દીકરી પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું થયેલું નથી. પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ, માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ' પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ
મહત્વનું છે કે રાજેન્દ્રભાઈ લખતરીયા પોતે રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર હતા. જેમને વય નિવૃત્તિના 8થી 10 મહિના પહેલા જ સ્વૈચ્છીક રાજીનામુ ધરી દીધું હતું. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો ખાનગી નોકરી કરે છે તો દીકરી છૂટાછેડા બાદ પોતાન સંતાન સાથે માતા-પિતા સાથે રહેતી હતી. કોરોના બાદથી રાજેન્દ્રભાઈ બીમાર થતા ડિપ્રેશનમાં રહેતા હતા. જેની સારવાર પણ લેતા હતા. પરિવારના જણાવ્યા મુજબ થોડા વખતથી તેમના પત્ની પણ બીમાર હતા જેમને ડાયાબિટીસની બીમારી હતી. જેથી તેઓ વધારે ડિપ્રેશનમાં આવી ગયા હોવાનું અનુમાન છે. બીમારીથી ત્રાસી અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટ આધારે પરિવારજનો જણાવી રહ્યા છે. પતિ-પત્નીએ સાથે જીવનનો અંત આણી દેતા પરિવારમાં શોક લાગણી ફેલાઈ છે.









