રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Jail Industries: રાજકોટની સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ ધમધમી રહ્યો છે, જ્યાં 68 કેદીઓ દરરોજ 600 જેટલા હીરા ઘસે છે. આ હીરાઓનું મૂલ્ય કેટલું હોય છે તેની તો ખુદ કેદીઓ કે જેલ પ્રશાસનને પણ ખબર હોતી નથી પરંતુ અંદાજ છે કે આ રીતે જેલમાં વર્ષે લાખો રૂપિયાનો હીરા ઉદ્યોગ ચાલે છે, જેનાં થકી કેદીઓ બીજા બધા કામ કરતા સૌથી વધુ વેતન પ્રાપ્ત કરી રહ્યાં છે.
68 કેદી બન્યાં રત્નકલાકાર
દાતાઓની મદદથી એકાદ વર્ષ પહેલાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ થકી હવે 68 કેદીઓ 'હીરાઘસુ’ એટલે કે 'રત્નકલાકાર' તરીકે તબદીલ થઈ ચૂક્યા છે.
દાતાઓની મદદથી એકાદ વર્ષ પહેલાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો
એક કંપની સાથે જેલ પ્રશાસને એમઓયુ સાઈન કર્યા છે. એ કંપની દ્વારા હવે જેલમાં રફ હીરા ઘસવા માટે મોકલવામાં આવે છે. કંપનીનો એક માણસ દરરોજ સવારે રફ હીરા લઇ જેલમાં આવે છે. આ માણસની ઉપસ્થિતિમાં જ કેદીઓ રફ હીરાને ઘસી તેનું મૂલ્ય વધારે છે. સાંજે હીરા ઘસાઈ ગયા બાદ કંપનીનો માણસ તેને લઈ રવાના થઈ જાય છે.
રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ
જો કે રાજકોટ સેન્ટ્રલ જેલમાં આ સિવાયનાં બીજા અડધો ડઝન ઉદ્યોગ પણ ચાલી રહ્યા છે. જેનું ટર્ન ઓવર મોટા કારખાનાં કે મધ્યમ કક્ષાની કંપની કરતા ઓછું નથી. જેલમાં 25 કેદીઓ વણાટ કામ કરે છે, જેમાં દરી એટલે કે શેતરંજી, કેદીઓને ઓઢવા માટેના ધાબળા, રંગીન શેતરંજી, જનતા એટલે કે કોટન કાપડ, સરકારી કચેરીઓમાં રેકોર્ડનાં ‘પોટલાં’ બાંધવા માટેનું સુપર ડુંગરી કાપડ બનાવવામાં આવે છે. આ તમામ કાપડનું વેચાણ મુખ્યત્વે સરકારી કચેરીઓમાં થાય છે.
કેદીઓ દ્વારા બનાવવામાં આવેલું ફર્નિચર સરકારી કચેરીઓમાં વેચવામાં આવે છે
18 કેદીઓ સુથારી કામ કરી નાનું ફર્નિચર બનાવે છે. મોટું ફર્નિચર બનાવવા માટે એક કારખાના સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. તમામ પ્રકારનું ફર્નિચર આ કારખાના દ્વારા બનાવી જેલ પ્રશાસનને આપવામાં આવે છે, જેનું જેલ પ્રશાસન સરકારી કચેરીઓમાં વેચાણ કરે છે. લાકડા ખરીદવાની સમસ્યા ઉભી થતી હોવાથી કેદીઓ હવે મોટું ફર્નિચર બનાવતા નથી. તેને બદલે એક કંપની પાસે મોટું ફર્નિચર બનાવડાવવામાં આવે છે.

રાજકોટ જેલનું ટર્નઓવર 2.70 કરોડ
11 કેદીઓ દરજી કામ વિભાગમાં પોલીસના યુનિફોર્મ, સાથે ચણીયા ચોળી સહિતનાં કપડાં સીવે છે. બેકરી વિભાગમાં કામ કરતા 15 કેદીઓ જુદા-જુદા ફરસાણ અને અડદીયા, ખજૂર પાક ઉપરાંત ચુરમાના લાડુ બનાવે છે. ઈસ્ત્રી વિભાગમાં 1 કેદી કામ કરે છે. આ તમામ ઉદ્યોગોનું વર્ષ 2024-2025ના નાણાકીય વર્ષમાં રૂ. 2.69 કરોડ જેવી માતબર રકમનું ટર્નઓવર રહ્યું હતું. કોર્પોરેટ વર્લ્ડની જેમ રાજ્યની જેલોને નિશ્ચિત 'ટાર્ગેટ' આપવામાં આવે છે. સૌથી વધુ ટર્ન ઓવર બેકરી વિભાગનું રૂ.1.35 કરોડનું છે. આ તમામ ઉદ્યોગો સાથે સંકળાયેલા કેદીઓને વર્ષ 2024-25માં એકંદરે રૂ. 46.63 લાખનું વેતન ચૂકવવામાં આવ્યું હતું.
અહીંના કેદીઓ દર વર્ષે અપાતા ટાર્ગેટ પૂરા કરે છે
સી.એમ. પરમાર, ઇન્ચાર્જ ફેક્ટરી મેનેજરના જણાવ્યા અનુસાર, 'રાજકોટ સેન્ટ્રલ જેલનાં કેદીઓ દર વર્ષે જે ટાર્ગેટ અપાય છે તેને હાંસલ કરે છે. દર વર્ષે નવા-નવા ટાર્ગેટ આપવામાં આવે છે. એક સમયે જેલના ઉદ્યોગોનું ટર્નઓવર રૂા.50 લાખ આસપાસ હતું જે હવે રૂા. 2.50 કરોડને પણ આંબી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી ટાર્ગેટ પૂરા થઈ રહ્યા છે.'
કેદી જેલમુક્ત થયા પછી પણ આનાથી રોજગારી મેળવી શકે
સુધીર ગોપલાણી, સિનિયર ક્લાર્કના જણાવ્યા અનુસાર, 'રાજ્યની સુરત અને ત્યારબાદ ભાવનગર જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટની સેન્ટ્રલ જેલ ત્રીજી છે જેમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. હીરા ઘસવાની તાલીમ લઈ ચૂકેલા કેદીઓ જેલ મુક્ત થયા પછી પણ તેના થકી હવે રોજગારી પ્રાપ્ત કરી શકે છે.'









