Baroda

પ્રશિક્ષણ વર્ગના ખર્ચ માટે વડોદરા ભાજપ દ્વારા ફંડની ઉઘરાણી શરૂ કરતાં વિવાદ : કાર્યકર્તાઓમાં રોષ

By GS Team
27 Jun 20264 mins read
TukuTouch Logo
વડોદરા ભાજપ દ્વારા 28 જૂન, 5 અને 12 જુલાઈના રોજ દીનદયાળ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. પ્રદેશ ભાજપે કાર્યકર્તાઓ પાસેથી ઓનલાઈન રૂ. 100 લેવાનું કહ્યું છે, જ્યારે વડોદરા ભાજપે હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો પાસેથી રોકડા પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું છે, જેનાથી કાર્યકર્તાઓમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રશિક્ષણ વર્ગના ખર્ચ માટે વડોદરા ભાજપ દ્વારા ફંડની ઉઘરાણી શરૂ કરતાં વિવાદ : કાર્યકર્તાઓમાં રોષ

Vadodara BJP : ગુજરાતના તમામ શહેર જિલ્લામાં કાર્યકર્તાઓ માટે દીનદયાળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવા પ્રદેશ ભાજપ દ્વારા સૂચના આપવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરા શહેરમાં તારીખ 28 જૂન તા.5 અને 12મી જુલાઈના રોજ યોજવામાં આવનાર છે જેના માટેનું ફંડ એકઠું કરવાની જવાબદારી કાર્યકર્તાના માથે થોપી બેસાડી છે. પ્રદેશ સમિતિ દ્વારા કાર્યકર્તાઓ પાસેથી રૂ.100 ઓનલાઈન ભરપાઈ કરવા જણાવ્યું છે ત્યારે વડોદરા ભાજપ દ્વારા હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો પાસેથી રોકડા પૈસા જમા કરાવવા જણાવ્યું છે. જેથી કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા સભ્યોમાં છુપો રોષ ફેલાયો છે. એટલુજ નહીં કાર્યકર્તાઓને છૂટ આપવામાં આવી છે કે, આ પ્રશિક્ષણ શિબિર માટે કોઈ ભાજપના હિતેચ્છુ પૈસા આપવા માગતા હોય તો તેવા વ્યક્તિઓ પાસેથી પણ પૈસા ઉઘરાવી શકશે અને તે નાણાં પાર્ટીમાં જમા કરાવી શકશે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે દીન દયાળ પ્રશિક્ષણ વર્ગ ગુજરાતના તમામ શહેર જિલ્લામાં આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ ભાજપ સમિતિ દ્વારા કાર્યકર્તાઓ પાસેથી રૂ.100 જમા કરાવવા માટે ખાસ ઓનલાઇન સિસ્ટમ રાખવામાં આવનાર છે જેમાં કાર્યકર્તાઓએ નાણાં જમા કરાવવાના રહેશે તેમ પણ જણાવ્યું છે. ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં આગામી તારીખ 28 જૂન તારીખ પાંચમી જુલાઈ અને તારીખ 12મી જુલાઈના રોજ અટલાદરા સ્વામિનારાયણ મંદિર, કાયાવરોહણ અને ત્રિમંદિર અને ખટંબા ખાતે રાખવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં રહેવાનું ફ્રી છે આ માટે ખાસ કરીને માત્ર નાસ્તા,જમણવારનો રૂ.ચાર કે પાંચ લાખના ખર્ચ સામે રૂ.15થી 20 લાખનો ખર્ચ થવાનો અંદાજ બતાવી અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યકર્તાઓ એ સ્વૈચ્છિક રીતે રૂ.100 પ્રદેશ ભાજપની ઓનલાઈન સિસ્ટમમાં જમા કરાવવાના રહેશે તેમ જણાવ્યું છે ત્રણ દિવસના પ્રશિક્ષણ વર્ગ માટે ફંડ એકઠું કરવા 8 સભ્યની સહાયક સમિતિ ની રચના કરવામાં આવી છે જેમાં પૂર્વ કોર્પોરેટરોની નિમણૂક કરી છે સાથે સાથે ભાજપ પક્ષમાં હાલમાં જે હોદ્દેદારો છે તે દરેક હોદ્દેદારે વ્યક્તિગત રીતે રૂ.11,000 જમા કરાવવાનું નક્કી થયું છે. કોર્પોરેટરો વોર્ડના પ્રમુખ મહામંત્રી અને કારોબારી સભ્યો સંસદસભ્ય, ધારાસભ્યો, દરેક મોરચાના પ્રમુખ મહામંત્રી પૂર્વ સાંસદ ધારાસભ્ય, કોર્પોરેટરો પૂર્વ વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિત કારોબારી સભ્યો માટે ચોક્કસ રકમ ફરજિયાત જમા કરાવવા જણાવ્યું છે.
કાર્યકર્તાઓ માટે યોજાનાર પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ વોર્ડના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલન રહે અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પક્ષના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને છૂટછાટ આપવામાં આવી છે કે ભાજપના હિતેચ્છુ તમારા ઓળખીતાઓ હોય અને તેઓ દ્વારા પણ આ શિબિર માટે ફંડ આપવામાં આવશે તો તે પણ તમે મેળવી શકો છો.
પ્રશિક્ષણ વર્ગ માટે ફંડ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે પ્રદેશ સમિતિએ કાર્યકર્તાઓ પાસેથી રૂ.100 ઓનલાઈન જમા કરાવવાની સિસ્ટમ શરૂ કરનાર છે ત્યારે વડોદરા ભાજપ દ્વારા રોકડા પૈસાની ઉઘરાણી કરવામાં આવનાર છે તે કેટલું યોગ્ય છે કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માનવું છે કે હજી તો કોર્પોરેટર બન્યાને જુમ્મા જુમ્મા ચાર દિન થયા છે ત્યાં પક્ષ તરફથી ખર્ચાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પક્ષ જ ઉઘરાણું કરવાની છૂટછાટ આપી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.

પ્રશિક્ષણ વર્ગ માટે કોણ કેટલા પૈસા જમા કરાવશે તેની યાદી

1)ભાજપના હોદ્દેદારો : રૂ.11,000: 21 હોદ્દેદાર, રૂ.2,31,000

2)હાલના અને પૂર્વ સંસદસભ્ય : ધારાસભ્ય : રૂ.11,000 કુલ સંખ્યા 8= રૂ.88000

3) કોર્પોરેટરો : રૂ.5000 કુલ સભ્ય 69= રૂ.3,45,000

4)દરેક મોરચાના પ્રમુખ, મહામંત્રી : રૂ.2500 : સંખ્યા:21: રૂ.52,500

5)19 વોર્ડના પ્રમુખ મહામંત્રી : 2500 સંખ્યા : 57 : રૂ.1,42,500

6) શિક્ષણ વર્ગમાં હાજરી આપનાર તમામ કાર્યકર્તાએ સ્થળ પર પ્રદેશ સમિતિમાં રૂ.100 ઓનલાઈન જમા કરાવશે.

7)પૂર્વ કોર્પોરેટરો શિક્ષણ સમિતિ સભ્ય, વોર્ડના પૂર્વ પ્રમુખ,મહામંત્રી રૂ.2500 : સંખ્યા:147:રૂ.3,67,500

સમિતિના એક સભ્ય દ્વારા રૂ.2,00,000 જમા કરાવવાની જાહેરાત


વડોદરા ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગના આયોજન માટે ફંડ ઉઘરાવવા આઠ સભ્યોની સમિતિ બનાવી છે. તેમાંથી એક સભ્યએ તો રૂપિયા બે લાખ આપવાની સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે તે જ રીતે જે રકમ કાર્યકર્તાઓ પાસેથી મેળવવાની છે. તેમાં પૂર્વ કોર્પોરેટરો હોય કે હાલના કોર્પોરેટરો હોય કે પછી ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય તેઓ તમામ નક્કી કરેલી રકમ કરતાં પણ વધારે રકમ જમા કરાવશે તેમ માનવામાં આવે છે. જેથી આ કાર્યક્રમ માટે રૂપિયા 15 થી 20 લાખની રકમ જમા થશે તેવો અંદાજ છે.