રાજકોટમાં બાળ મજૂરીનો મામલો ગરમાયો, પશ્વિમ બંગાળ પોલીસ તપાસ માટે રાજકોટ પહોંચી
Rajkot : રાજકોટમાં 19 જેટલા પશ્ચિમ બંગાળના બાળકોને ગોંધી રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવા મામલે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યા બાદ પશ્વિમ બંગાળ એક્શનમાં આવી ગઇ છે. પશ્વિમ બંગાળ પોલીસે આ મામલે તપાસ માટે રાજકોટમાં પહોંચી છે.
તૃણમુલ કોંગ્રેસના ટ્વીટ બાદ ગણતરીના કલાકોમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પશ્ચિમ બંગાળના 19 જેટલા બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. રાજકોટ શહેર પોલીસની તપાસમાં મૌલા છેલ્લા ચાર પાંચ વર્ષથી બાળમજૂરી કરાવતો હોવાનું ખુલ્યું છે.
આ પણ વાંચો: કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકની યાદી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શું લખ્યું
ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડબલ એન્જિનવાળા રાજ્ય ગુજરાતમાં માત્ર બાળમજૂરી ચાલતી નથી, પરંતુ તેની સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવે છે.
કાલનાના ગણેશ દુર્લભ નામના એક બાળકને ગુજરાતની એક જ્વેલરી ફેક્ટરીમાં કામ કરવા મજબૂર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી, જેથી તેને ગંભીર ઇજાઓ અને ઘેરો આઘાત લાગ્યો છે. ભાજપ બંગાળ પ્રત્યેના તિરસ્કારના લીધે આપણા લોકો સાથે ખુલ્લેઆમ ધૃણાસ્પદ કૃત્યો કરે છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર પોલીસને બાતમી મળી હતી કે, શહેરના બેડીચોક નજીક ગોપાલ રેસિડેન્સીની શેરી નંબર 1ના એક મકાનમાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરુવારે (5 જૂન) રાત્રે કાર્યવાહી હાથ ધરી તમામ બાળકોને મુક્ત કરાવી તેમને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં તપાસ કરવામાં આવશે કે, બાળકો સાથે કોઈ બળજબરી કે શારીરિક હિંસા કરવામાં આવી છે કે કેમ? પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળકોને ઇમિટેશનના કામ માટે રાખવામાં આવ્યા હતા.
2 વર્ષથી ગોંધી રાખ્યા હતા
પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે કે, આ તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને ઇમિટેશનનું કામ કરાવવા માટે અહીં લાવવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર બાળકોને અલગ-અલગ સમયે છેલ્લાં 2 વર્ષથી રાજકોટ ગોંધી રાખ્યા હતા, તે આ તમામ બાળકો પાસે બાળમજૂરી કરાવતો હતો. જે ઘરમાંથી બાળકો મળી આવ્યા તેના માલિકનું નામ બાબુભાઈ બાળા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ મામલે મકાન માલિકે ભાડાકરાર કર્યો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો ભાડાકરાર કરવામાં નહીં આવ્યો હોય તો જાહેરનામાના ભંગનો પણ ગુનો દાખલ કરવામાં આવશે.