રાજકોટમાં કરંટ લાગતાં બાળકીનું મોત, પિતાએ કહ્યું 'કોઇની બેદરકારીની સજા કોઇને મળી'
AI Image |
Rajkot News: ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં તણાઇ જવાની અને વીજ કરંટ લાગવાની ઘટનાઓ સતત સામે આવી છે. રાજકોટના રૈયાધાર મફતીયા પરમાં એક બાળકીને કરંટ લાગતાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે હોસ્પિટલ લઇ જતાં પહેલાં જ બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના પિતાએ આક્ષેપ કરતાં દુ:ખ વ્યક્ત કર્યું હતું. બાળકીના પિતાએ કહ્યું હતું કે કોઇની બેદરકારીની સજા કોઇને મળી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં આવેલા રૈયાધાર મફતિયા પરમાં રહેતા જીવનભાઇ ડઢાણીયાની ચાર વર્ષની પુત્રી કિંજલ તેની મમ્મીની સાથે નજીકમાં રહેતા તેના માસીને ઘરે ગઇ હતી. ત્યારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતી વખતે વરસાદ થઇ ગયો હતો. ત્યારે રસ્તામાં ભૂલથી જીવતા વીજ વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો. બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આપ્યા બાદ હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં દમ તોડી દીધો હતો. અચાનક જ પરિવારે પોતાની માસૂમ દિકરી ગુમાવતાં માતા-પિતા ભાંગી પડ્યા હતા.
આ પણ વાંચો: Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
બાળકીના પિતા તંત્ર સામે આક્ષેપ કરતાં દર્દ વ્યક્ત કર્યું હતું કે 'કોઇની બેદકારીની સજા કોઇને મળી છે. અમારે ત્યાં અવાર-નવાર લાઇટ જાય છે છતાં તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. જેના લીધે હેરાનગતિનો સામનો કરવો પડે છે. વીજ થાંભલાના ખુલ્લા વાયરોને હટાવી દેવામાં આવે. જેથી ભવિષ્યમાં આ જોખમી વીજ વાયરો કોઇની દિકરીનો ભોગ ન લે. ઉલ્લેખનીય છે કે બાળકીના મોત બાદ પીજીવીસીએલના કર્મચારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી રીપેર કર્યા હતા.