રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Rajkot Air india Flight News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લોકો હજુ ભૂલી શક્યા નથી ત્યાં તો શુક્રવારે સુરતમાં બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટ ખામીના લીધે એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થઇ શકી ન હતી, જ્યારે રાજકોટના હીરાસર એરપોર્ટ પર ત્રીજા પ્રયત્ને એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થતાં મુસાફરોના જીવ ચાળવે ચોંટી ગયા હતા. દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતો. પાયલટને અલાઇમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો. જેના લીધે ફ્લાઇટે હવામાં જ બે ચક્કર લગાવ્યા હતા. જેના કારણે મુસાફરો ગભરાઇ ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, મેડિકલ પરીક્ષા રદ
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી 100થી વધુ મુસાફરો લઇને એર ઈન્ડિયાની ફ્લાઇટે સાંજે 6:29 વાગ્યે ઉડાન ભરી હતી. અને આ ફ્લાઇટ રાજકોટના હીરાસર એરપોર્ટ પર સાંજે 7:50 વાગ્યે લેન્ડિંગ કરવાની હતી. જોકે આ દરમિયાન પાયલટને અલાઇમેન્ટ સેટ કરવામાં સમય લાગતાં ફ્લાઇટે હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. પાયલટે બે વખત ફ્લાઇટ લેન્ડ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને વખત રન-વેને ટચ કરીને ફરીથી ઉડાન ભરી લીધી હતી. ફ્લાઇટે ત્રીજા પ્રયત્ને સફળતાપૂર્વક લેન્ડિંગ કરતાં મુસાફરોએ ભગવાનનો પાડ માન્ય હતો અને હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર
ઉલ્લેખનીય છે કે વિમાનમાં કોઇ ટેક્નિકલ ક્ષતિ ન હતી પરંતુ અલાઇમેન્ટમાં થોડો સમય લાગ્યો હોવાથી ફ્લાઇટને હવામાં બે ચક્કર લગાવવા પડ્યા હતા. આ દરમિયાન મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અમદાવાદ દુર્ઘટનાની ભયાવહ તસવીરો નજર સામે દોડવા લાગી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાની યાદો તાજી થઇ જતાં મુસાફરોમાં ભય અને ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.