Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર 1 - image


Vijay Rupani funeral in Rajkot: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે ઋષભ રૂપાણી શનિવારે (14 જૂને) વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા. ઋષિકેશ પટેલ, પુરૂષત્તમ રૂપાલા સહિતના ભાજપના રાજકીય નેતાઓ અને સગા-સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. 

અંતિમવિધિ રાજકોટમાં કરાશે

વિજયભાઈ રૂપાણીના બહેનના ડી.એન.એ.સેમ્પલ લેવાયેલા છે તે મેચ થયા બાદ આ માટેની તારીખ જાહેર કરાશે. વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે. 

વિજય રૂપાણીના નિધનથી શોકઃ આજે રાજકોટ અડધો દિવસ સ્વૈચ્છિક બંધ

12 જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરૂણ મોત નીપજતાં તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે બપોરે 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિજયભાઈની અંતિમ યાત્રા પણ રાજકોટમાં યોજાશે જે માટે તૈયારીઓ શરૂ થઈ છે. 

રાજકોટમાં વિવિધ સંસ્થાઓ (1) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (2) શહેર કોંગ્રેસ સમિતિ (3) રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશન (4) ગુડ્ઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન (5) હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસીએશન (6) સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસો. તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને આવતીકાલે શનિવારે તા. 14ના તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને સદ્ગત વિજયભાઈને શ્રધ્ધાંજલિ આપવા નિર્ણય લીધો છે અને અપીલ કરી છે. 

શાળાઓ પણ બંધ

આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અનધ્યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. આમ, આજે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો પણ બંધ રહેશે.

Tags :