રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Robbery Case : રાજકોટના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રૂ. 32 લાખની લૂંટનો મામલો પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ લૂંટના બનાવમાં સંડોવાયેલા ટ્રાફિક શાખાના TRB જવાન સહિત કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. 21 લાખ પણ કબ્જે કર્યા છે.
શું હતી ઘટના?
આ અંગે એસીપી રાધિકા ભારાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ફરિયાદી સંજય પંડ્યા પાસે કપાસની ગાંસડીઓ ખરીદવા માટેના રૂ. 32 લાખ હતા. રેસકોર્સ ગાર્ડન નજીક જ્યારે ફરિયાદી તેમના એક્સેસ વાહન પર હતા, ત્યારે બે વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. આ પૈકી મુખ્ય આરોપી શાહબાઝ મોટાણીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

આરોપીઓએ ફરિયાદીને 'આ થેલો કોનો છે?' તેમ કહીને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને માર માર્યો હતો. ત્યારબાદ આ બે વ્યક્તિઓએ લૂંટને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, અન્ય બે આરોપીઓએ ફરિયાદીને બે કલાક સુધી ફેરવ્યા હતા અને માર માર્યો હતો. લૂંટની ઘટનાની જાણ થતાં જ પીઆઇ વી.આર. વસાવા સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
પોલીસે આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી અને ટ્રાફિક શાખામાં TRB જવાન તરીકે ફરજ બજાવતા શાહબાઝ મોટાણી તેમજ તેના સાથીદારો દાનિશ શેખ, અતિસ સુમરા અને મહેશ વાઘેલાની ધરપકડ કરી છે. તેમની પાસેથી લૂંટના રૂ. 32 લાખમાંથી રૂ. 21 લાખની રકમ કબ્જે કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.








